બેંગલુરૂ: કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નલિન કુમાર કતીલે ફરી એક વખત વિવાદિત નિવેદન કર્યુ છે. મૈસૂરના 18મી સદીના શાસક ટીપૂ સુલતાનને લઇને તેમણે એવી ટિપ્પણી કરી છે જે બાદ વિવાદ ઉભો થયો છે. નલિન કુમાર કતીલે એક સભામાં કહ્યુ, ‘ટીપૂ સુલતાનના તમામ ઉત્સાહી અનુયાયીઓએ જીવતા ના રહેવુ જોઇએ, તેમણે કહ્યુ કે ટીપૂ સુલતાનના વંશજોને દોડાવીને જંગલમાં મોકલી દેવા જોઇએ.’
Advertisement
Advertisement
આ મહિનાની શરૂઆતમાં કતીલે આ દાવો કરીને વિવાદ ઉભો કર્યો હતો કે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી “ટીપૂ વર્સિસ સાવરકર” પર લડવામાં આવશે, તેમણે કહ્યુ હતુ, તેમણે (કોંગ્રેસ) ટીપૂ જયંતી મનાવવાની પરવાનગી આપી, જેની જરૂર નહતી. બીજી તરફ પાર્ટીએ સાવરકર અંગે અપમાનજનક વાતો કરી હતી. કતીલે કહ્યુ હતુ કે, અમે ભગવાન રામ અને હનુમાનના ભક્ત છીએ, અમે ટીપૂના વંશજ નથી, અમે તેમના વંશજોને પરત મોકલી દીધા છે.
આ પહેલા કર્ણાટક ચૂંટણીને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રચાર શરૂ કર્યો હતો. અમિત શાહે એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યુ હતુ કે, ટીપૂ સુલતાનની વિચારધારામાં વિશ્વાસ રાખનારા કર્ણાટક માટે કઇ પણ સારૂ નથી કરી શકતા.
ટીપૂ સુલતાન સાથે જોડાયેલી ખાસ વાતો
1. ટીપૂ સુલતાનને પ્રથમ મિસાઇલ મેન માનવામાં આવે છે
2. ટીપૂ સુલતાને 18 વર્ષે અંગ્રેજો વિરૂદ્ધ પ્રથમ યુદ્ધ જીત્યુ હતુ
3.1766માં ટીપૂ સુલતાને પાલક્કાડમાં ભવ્ય કિલ્લો બનાવડાવ્યો હતો
4. 1784માં ટીપૂ સુલતાન અને અંગ્રેજો વચ્ચે મેંગલુરૂની સંધિ પૂર્ણ થઇ હતી
19મી સદીમાં કર્ણાટકમાં હીરો તરીકે જાણીતા હતા ટીપૂ સુલતાન
મૈસૂરના શાસક ટીપૂ સુલતાનના મોત બાદ 19મી સદીમાં કન્નડ ભાષામાં તેમની પર કેટલાક લોકગીત અને નાટક લખવામાં આવ્યા હતા. આ લોકગીત અને નાટકોમાં ટીપૂની છબીને એક યૌદ્ધા તરીકે રજૂ કરવામાં આવી હતી, જે અંગ્રેજો વિરૂદ્ધ જંગમાં લડતા શહીદ થયા હતા. કર્ણાટકમાં ટીપૂ સિવાય કોઇ અન્ય રાજા માટે આવા લોકગીત પ્રચલિત નહતા.
અંગ્રેજોને ધૂળ ચડાવવા પર નામ પડ્યુ હતુ શેર-એ-મૈસૂર
20 નવેમ્બર 1750માં કર્ણાટકના દેવનાહલ્લીમાં મૈસૂરના શાસક હૈદર અલી ખાંના ઘરે એક બાળકનો જન્મ થયો. હૈદરે પોતાના બાળકનું નામ સુલતાન ફતેહ અલી ખાન શાહબ રાખ્યુ હતુ. પછી આ બાળકને ટીપૂ સુલતાનના નામે ઓળખવામાં આવ્યો.
વિવાદમાં હોવા છતા ટીપૂ સુલતાનને માત્ર એક સારા શાસક જ નહી પણ યૌદ્ધાના રૂપમાં ઓળખવામાં આવે છે. 15 વર્ષની ઉંમરમાં ટીપૂ સુલતાને વર્ષ 1766માં અંગ્રેજો વિરૂદ્ધ લડવામાં આવેલી મૈસૂરની પ્રથમ લડાઇમાં પોતાના પિતાનો સાથ આપ્યો હતો અને અંગ્રેજોને હરાવ્યા હતા, તે યુદ્ધમાં ટીપૂના પરાક્રમને જોતા પિતાએ તેને શેર-એ-મૈસૂર કહ્યો હતો. વર્ષ 1782માં ટીપૂ મૈસૂરનો શાસક બન્યો હતો.
ટીપૂ સુલતાને પોતાના શાસનકાળમાં ક્યા મહત્વપૂર્ણ યુદ્ધ લડ્યા?
1. ટીપૂ સુલતાનની પ્રથમ લડાઇ દ્વિતીય અંગ્રેજ-મૈસૂર યુદ્ધ હતો, જેમાં તેને મંગલોરની સંધિ સાથે યુદ્ધ સમાપ્ત કર્યુ હતુ અને સફળતા મેળવી હતી. 15 વર્ષની ઉંમરમાં અંગ્રેજોને હરાવ્યા બાદ સુલતાન તરીકે પણ પ્રથમ લડાઇમાં ટીપૂએ જીત મેળવી હતી. આ યુદ્ધ 1780-84 વચ્ચે લડવામાં આવ્યો હતો.
2. તૃતીય અંગ્રેજ-મૈસૂર યુદ્ધ ટીપૂ સુલતાનના શાસક તરીકે બીજી મોટી લડાઇ હતી. આ યુદ્ધ શ્રીરંગપટ્ટનમની સંધિ સાથે સમાપ્ત થયુ હતુ. ટીપૂને પોતાના પ્રદેશનો અડધો ભાગ હૈદરાબાદના નિઝામ અને મરાઠા સામ્રાજ્યના પ્રતિનિધિ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે છોડવો પડ્યો હતો. આ યુદ્ધ 1790માં લડાયુ હતુ.
3. ચોથો અંગ્રેજ-મૈસૂર યુદ્ધ 1799માં થયો હતો. જ્યારે અંગ્રેજ મંગલોર સંધિની શરતોથી ફરી ગયા તો 1799માં બન્ને વચ્ચે આમને-સામને લડાઇ થઇ હતી. આ લડાઇમાં ટીપૂ સુલતાનની સેનાના મોટા અધિકારી મીર સાદિકે ગદ્દારી કરી હતી અને તે અંગ્રેજો સાથે ભળી ગયો હતો. જેને કારણે આશરે ત્રણ મહિનાની લડાઇ પછી યુદ્ધના મેદાનમાં અંગ્રેજો સાથે લડતા ટીપૂ સુલતાન શહીદ થઇ ગયા હતા. મેજર એલેકજેન્ડર એલને પછી આ યુદ્ધનો ઉલ્લેખ કરતા પુસ્તકમાં લખ્યુ હતુ કે ટીપૂ સુલતાનના મૃત્યુ બાદ પણ અંગ્રેજ સૈનિક તેમના શરીરને અડતા ડરી રહ્યા હતા.
ટીપૂએ મંદિરોનું પુનનિર્માણ કરાવ્યું હતું
મૈસૂરમાં હિન્દુ બહુમતમાં હતા, માટે ટીપૂ સુલતાને શ્રીરંગપટ્ટનમ, મૈસૂર સહિત રાજ્યના કેટલાક સ્થળોમાં મંદિર બનાવડાવ્યા હતા. ઇતિહાસકાર ટીસી ગૌડાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે ટીપૂએ શ્રિંગેરી, મેલ્કોટે નાંજનગુંડ, સિરીરંગાપટનમ, કોલૂર જેવા મંદિરોની ઝવેરાતોને સુરક્ષા અપાવી હતી. 1759માં આદિ શંકરાચાર્યે બનાવેલા તિરૂપતિ મંદિર પર મરાઠાઓએ હુમલો કરી દીધો તો હિંદુઓની ધાર્મિક ભાવનાને જોતા ટીપૂ સુલતાને તેનું પુનનિર્માણ કરાવ્યું હતું.
ટીપૂ સુલતાનને હિંદુઓના હત્યારા કેમ કહેવામાં આવે છે?
1990ના દાયકામાં બાબરી ધ્વંસ અને રામ મંદિરને લઇને જ્યારે વિવાદ થયો ત્યારે ટીપૂ સુલતાન પ્રત્યેના વલણમાં મોટો બદલાવ જોવા મળ્યો હતો. આ પહેલા તમામ સ્કૂલના પુસ્તકમાં ટીપૂ સુલતાનને મહાન શાસકની ઉપાધિ આપવામાં આવતી હતી. મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે ટીપૂ સુલતાનની છબી એક ધર્મનિરપેક્ષ શાસકની જગ્યાએ મુસ્લિમ તાનાશાહની બનાવવામાં આવી હતી.
ટીપૂ સુલતાન પર લખવામાં આવેલા પુસ્તકમાં ચિદાનંદ મૂર્તિ કહે છે કે ટીપૂ સુલતાને 1783માં પાલઘાટ કિલ્લા પર હુમલો કરીને હજારો બ્રાહ્મણોની હત્યા કરી નાખી હતી, જેનાથી હિંદુઓના મનમાં ટીપૂ સુલતાન પ્રત્યે ડર બેસી ગયો હતો. જોકે, એક ઇન્ટરવ્યૂમાં પ્રોફેસર બી શેખે જણાવ્યુ કે આ બધુ ઇતિહાસથી વધારે વર્તમાન રાજકીય માહોલથી પ્રભાવિત છે.
કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે
કર્ણાટક વિધાનસભાની તમામ 224 બેઠકો માટે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી મે 2023માં યોજાઇ શકે છે. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023માં સમાપ્ત થવાનો છે. ગત વિધાનસભા ચૂંટણી મે 2018માં યોજાઇ હતી. ચૂંટણી પછી જનતા દળ (સેક્યુલર) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગઠબંધને સરકાર બનાવી હતી, જેમાં એચ.ડી.કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા.
જુલાઇ 2019માં, વિધાનસભામાં કોંગ્રેસ અને JD(S)ના કેટલાક સભ્યોના રાજીનામાને કારણે ગઠબંધન સરકાર તૂટી ગઇ હતી. જે બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્ય સરકારની રચના કરી હતી અને બી.એસ.યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 26 જુલાઇ 2021માં યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યુ હતુ અને બસવરાજ બોમ્મઇએ 28 જુલાઇ 2021માં નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા.
Advertisement