નવી દિલ્હીઃ રાષ્ટ્રીય લોક જનતા દળના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્ર સરકારે વાય પ્લસ શ્રેણીની સુરક્ષા ઉપલબ્ધ કરાવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારથી છૂટા પડ્યા પછી કેન્દ્ર સરકારે તેમની સુરક્ષા વ્યવસ્થા વધારવાનો નિર્ણય લીધો છે. તેમણે ગયા મહિને નીતિશ કુમારનો પક્ષ છોડીને રાષ્ટ્રીય લોક જનતા દળના નામે પોતાનો અલગ પક્ષ બનાવ્યો હતો. હવે જાણવા મળી રહ્યું છે કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએમાં સામેલ થાય તેવી શક્યતા છે. ઉપેન્દ્ર કુશવાહાને વાય પ્લસ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાના કારણે રાજકારણ ગરમાયું છે.
Advertisement
Advertisement
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપ્યો આદેશ
અહેવાલો પ્રમાણે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેનો આદેશ પણ આપી દીધો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઉપેન્દ્ર કુશવાહાની સુરક્ષા વધારવાના ઘણાં તારણો નીકળી શકે છે. તાજેતરમાં તેમણે નીતિશ કુમાર સામે બળવો કર્યા પછી જેડી (યુ) સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. જેડી (યુ) છોડ્યાં પછી કુશવાહાએ રાલોજદના નામે નવા પક્ષની રચના કરી છે. લોકસભા ચૂંટણી અગાઉ તેઓ બિહારમાં સક્રિય થઈ ગયા છે.
હવે વાય પ્લસ શ્રેણીની સુરક્ષામાં સીઆરપીએફના 11 કમાન્ડોને ઉપેન્દ્ર કુશવાહા સાથે ત્રણ અલગ-અલગ શિફ્ટમાં તૈનાત કરવામાં આવશે. આ તમામ ખાસ આધુનિક શસ્ત્રોથી સજ્જ હશે. તેમાં બે પીએસઓનો પણ સમાવેશ થાય છે.
હકીકતે નીતિશ કુમારથી છૂટા પડ્યા પછી ઉપેન્દ્ર કુશવાહા હાલ બિહાર બચાઓ યાત્રા યોજી રહ્યા છે. તેઓ અલગ-અલગ વિસ્તારોમાં જઈને નીતિશ સરકાર વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે અને પોતાના નવા પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં યાત્રા દરમિયાન કુશવાહાની સુરક્ષા અંગે ખતરો હોવાની માહિતી મળી છે. તેથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારી દીધી છે અને વાય પ્લસ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે.
Advertisement