દિલ્હીઃ શરાબ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાની સીબીઆઈ કસ્ટડી આજે પૂરી થઈ હતી અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે મનીષ સિસોદિયાને વધુ બે દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.
Advertisement
Advertisement
રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાના સીબીઆઈ રિમાન્ડ બે દિવસ વધારી દીધા છે. સીબીઆઈએ મનીષ સિસોદિયાના વધુ ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા.સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ એમ કે નાગપાલની કોર્ટમાં મનીષ સિસોદિયા તરફથી વરિષ્ઠ વકીલ દયનકૃષ્ણન અને સિદ્ધાર્થ અગ્રવાલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોર્ટમાં રિમાન્ડ વધારવાની દલીલમાં સીબીઆઈએ કહ્યું કે પૂછપરછમાં હજુ પણ મનીષ સિસોદિયા સહયોગ આપતા નથી.
સીબીઆઈએ દિલ્હીના ઉપરાજ્યપાલની ફરિયાદના આધારે એક્સાઈઝ પોલીસી અંગે કેસ દાખલ કર્યો હતો.આ કેસમાં મનીષ સિસોદિયા સહિત કુલ 15 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. સીબીઆઈએ આ કેસમાં મનીષ સિસોદિયા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવાના પગલે સિસોદિયાએ 28 ફેબ્રુઆરીએ મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.
દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ સીબીઆઈએ 27 ફેબ્રુઆરીએ શરાબ કૌભાંડમાં તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈએ આપ નેતાની ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ 7 હેઠળ ગુનાઈત ષડયંત્ર રચવા અને પૂરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ અગાઉ સીબીઆઈ તેમની બે વખત પૂછપરછ કરી ચૂકી છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે સિસોદિયા હજુ પણ તપાસમાં સહકાર આપતા નથી.
હવે જામીન અરજી પર આગામી 10 માર્ચે બપોરે 2 વાગે સુનાવણી થશે.
Advertisement