નવી દિલ્હી : દેશના અનેક ભાગોમાં વાતાવરણ મીજાજ બદલી રહ્યું છે. આગામી દિવસોમાં લોકોએ આગ ઓકતી ગરમીનો સામનો કરવો પડી શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને બિહારના અનેક ભાગોમાં આગામી ત્રણ-ચાર દિવસમાં લોકોને હીટવેવનો અનુભવ થશે તેવી ચેતવણી હવામાન વિભાગે ગુરુવારે આપી હતી.
Advertisement
Advertisement
આ સમય દમરિયાન મધ્ય, પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં સામાન્યથી વધુ લૂની સંભાવના છે. અહીં ભેજની સાથે સૂકા વાતાવરણને કારણે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
હવામાન વિભાગની ચેતવણી મુજબ પશ્ચિમ બંગાળમાં 17 એપ્રિલ, આંધ્ર પ્રદેશમાં ઉત્તરીય દરિયા કિનારા અને ઓડિશામાં 15 એપ્રિલ તથા બિહારમાં 15થી 17 એપ્રિલ સુધી ‘લૂ’ની સ્થિત રહી શકે છે. આ સિવાય મધ્ય અને ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન હાલ 40થી 42 ડિગ્રી વચ્ચે છે, જેમાં વધારો આવી શકે છે.
પશ્ચિમી હિમાલયન ક્ષેત્ર અને પૂર્વોત્તર ભારતના અનેક ભાગો, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, તટવર્તી આંધ્ર પ્રદેશ અને કેરળમાં મહત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી વધુ છે.
મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સુધી પહોંચી જાય તો હીટવેવ જાહેર કરવામાં આવે છે. બીજીબાજુ પર્વતોમાં 30 ડિગ્રી અને તટવર્તી વિસ્તારોમાં 37 ડિગ્રી સુધી પારો પહોંચવાથી લૂ લાગવાની સંભાવના વધે છે.
કોઈ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સે. સુધી પહોંચી જાય તો તેને ખતરનાક ‘લૂ’ની શ્રેણીમાં રખાય છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, વર્ષ 2023માં ફેબુ્રઆરી મહિનો વર્ષ 1901 પછી સૌથી ગરમ રહ્યો હતો. જોકે, માર્ચમાં થયેલા કમોસમી વરસાદથી તાપમાન નિયંત્રણમાં આવ્યું હતું.
ગયા વર્ષે માર્ચ મહિનો 121 વર્ષ પછી સૌથી વધુ ગરમ અને સૂકો રહ્યો હતો અને 2022માં એપ્રિલ મહિનો 1901 પછી ત્રીજો સૌથી ગરમ મહિનો સાબિત થયો છે.
આ પહેલાં હવામાન વિભાગે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની ભવિષ્યવાણી કરી છે. વિભાગ મુજબ આ વર્ષે સરેરાશ 96 ટકા વરસાદની સંભાવના છે. આ વર્ષે ચોમાસા પર અલ નીનોનું જોખમ છે, પરંતુ તેનાથી વરસાદ ઓછો થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
દરમિયાન પશ્ચિમ બંગાળમાં સરકારી અને સરકારની મદદથી ચાલતી શાળાઓમાં ઉનાળુ વેકેશન બીજી મેથી શરૂ થશે. રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે અગાઉ ઉનાળુ વેકેશન 24 મેથી શરૂ થવાનું હતું, પરંતુ સરકારે વહેલા વેકેશન જાહેર કરી દીધું છે. જોકે, આ અંગે સત્તાવારા જાહેરનામું બહાર પડાયું નથી.
મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, તીવ્ર ગરમીના કારણે ઉનાળુ વેકેશન બીજી મેથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
બીજી બાજુ મુંબઇ અને નજીકનાં સ્થળોનું ગગન બુધવારે મધરાત્રિ બાદ ધણધણી ઉઠયું હતું. વીજળીના પ્રચંડ કડાકા, મેઘગર્જના, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. બુધવારે મોડી રાતે એકથી બે દરમિયાન અચાનક જ હવામાનમાં તોફાની પલટો આવ્યો હતો.
આમ તો છેલ્લા બે દિવસથી મુંબઇગરાંને બપોરે ગરમી અને બફારાનો અનુભવ થઇ રહ્યો હોવાથી વરસાદી માહોલ સર્જાતાં થોડો હાશકારો પણ થયો હતો.
ખાસ કરીને મુંબઇનાં પશ્ચિમનાં પરાં અંધેરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિંસર વગેરેમાં ગાજવીજ સાથે વરસાદની તીવ્રતા વધુ અનુભવાઇ હતી.
હવામાન ખાતાએ હજી આવતા 48 કલાક દરમિયાન મુંબઇ સહિત નજીકનાં થાણે, પાલઘરમાં ગાજવીજ, તીવ્ર પવન સાથે કમોસમી વર્ષા થાય તેવો વરતારો આપ્યો છે.
સાથોસાથ આવતા ચાર દિવસ (14થી17-એપ્રિલ) દરમિયાન દક્ષિણ કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભમાં પણ મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ વરસવાનો સંકેત આપ્યો છે.
હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે એવી માહિતી આપી હતી કે બુધવારે મધરાત બાદ હવામાન ખાતાના સાંતાક્રૂઝ કેન્દ્રમાં 14.8 મિલિમીટર વરસાદ નોંધાયો હતો, જે મુંબઇમાં છેલ્લાં 49 વર્ષના એપ્રિલમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. અગાઉ 1974ની 22, એપ્રિલે સાંતાક્રૂઝમાં 7.2 મિલિમીટર વર્ષા નોંધાઇ હોવાનો રેકોર્ડ મળે છે.
બીજીબાજુ હવામાન ખાતાના પુણે કેન્દ્રના ડાયરેક્ટર ડો.અનુપમ કશ્યપીએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ઇસરોના સેટેલાઇટની ઇમેજીસ દ્વારા એવો સંકેત મળે છે કે આખા મહારાષ્ટ્રના અને પુણે જિલ્લાના આકાશમાં વાદળોનો જમઘટ જામ્યો છે. સાંજે સાત વાગે પુણે અને નજીકના પરિસરમાં વીજળીના તીવ્ર ચમકારા, કાન ફાડી નાખે તેવી મેઘગર્જના, તોફાની પવન સાથે ગાંડોતૂર વરસાદી માહોલ સર્જાયો છે.
આવતા ત્રણ-ચાર દિવસ દરમિયાન પુણે જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
Advertisement