પીરમના પાદશાહ તરીકે ઓળખાતા મોખડાજી ગોહિલનું એ દરિયાકાંઠે એક જમાનામાં અબાધિત વર્ચસ્વ હતું. દિલ્હીના સુલતાન મહમ્મદ તુઘલકને ય હંફાવનારા મોખડાજી એ ખરેખર હિન્દુસ્તાનના પ્રથમ દરિયાઈ રાજા ગણાવા જોઈએ એવી એમની પરાક્રમકથા છે. આજે પણ પીરમ બેટ પાસેથી પસાર થતાં ભારતીય નૌકાદળ સહિતના જહાજો મોખડાજીને દાણ (ટેક્સ) પેટે નાળિયેર ધરે એવી પરંપરા છે. ગૌરવપ્રદ ઈતિહાસ, સમૃદ્ધ જહાજી વેપાર અને શૌર્યપ્રચુર પરાક્રમ ધરાવતો ઘોઘાનો દરિયાકાંઠો અનેક વણકહી કથાઓ સાચવીને બેઠો છે. ઘોઘા વિધાનસભા બેઠક નવા સીમાંકન પછી હવે ભાવનગર ગ્રામ્ય તરીકે ઓળખાય છે. જનરલ કેટેગરીની આ બેઠક અંતર્ગત ભાવનગર, ઘોઘા, સિહોર અને સોનગઢ તાલુકાના ગામોનો સમાવેશ થતો હોવાથી વિસ્તારની દૃષ્ટિએ ખાસ્સી મોટી છે. અહીં મતદારોની સંખ્યા પણ 2,91,461 જેટલી મોટી છે.
Advertisement
Advertisement
મિજાજઃ
એક જ નામ અને એ જ આ બેઠકનો મિજાજ. છેલ્લાં અઢી દાયકાથી અહીં પરશોતમ સોલંકી ભાજપના ઉમેદવાર તરીકે અડીખમ વિજેતા સાબિત થયા છે. નાદુરસ્તીના કારણે છેલ્લી ચૂંટણીમાં તો પ્રચાર કરવા પણ નીકળ્યા ન હતાં છતાં ત્રીશ હજાર મતની સરસાઈ મેળવી હતી. અહીં ભાજપ કરતાં ય પરશોતમ સોલંકીનું નામ વધુ ચલણી છે. આ બેઠક પર પરશોતમ સોલંકીની ઉમેદવારી હોય એટલે ભાવનગર ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ જિલ્લા સુધી તેની હકારાત્મક અસર ભાજપને મળતી રહે છે. એટલે જ નિષ્ક્રિયતા, મનમાની છતાં ભાજપ આ દબંગ નેતાને અવગણી શકે તેમ નથી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | પરશોતમ સોલંકી | ભાજપ | 16,101 |
2002 | પરશોતમ સોલંકી | ભાજપ | 15,719 |
2007 | પરશોતમ સોલંકી | ભાજપ | 34,591 |
2012 | પરશોતમ સોલંકી | ભાજપ | 18,554 |
2017 | પરશોતમ સોલંકી | ભાજપ | 30,993 |
(છેલ્લા બે પરિણામો નવા સીમાંકન પછીના છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પૂર્વ) : અડીખમ ગઢમાં પણ પ્રયોગ ન કરીને ભાજપે શેનો ડર વ્યક્ત કર્યો?
કાસ્ટ ફેબ્રિક
80,000 જેટલાં કોળી સમુદાયના મતદારોનું એકતરફી મતદાન એ આ બેઠક પર વિજયની ગુરુચાવી છે જે પરશોતમ સોલંકીની મજબૂત પકડમાં છે. એ ઉપરાંત 30,000 ક્ષત્રિયો, 20,000 પાટીદારો પણ મહત્વપૂર્ણ છે. પરશોતમ સોલંકીના રાજકીય ઉદય પૂર્વે આ બેઠક પરથી કિરીટસિંહ ગોહિલ, દિલીપસિંહ ગોહિલ, પરબતસિંહ ગોહિલ જેવા નેતાઓ જીતી ચૂક્યા છે પરંતુ હવે અહીં ક્ષત્રિય ઉમેદવાર જીતે એ દિવસો વીતી ગયા ગણાય છે.
સમસ્યાઓઃ
સમૃદ્ધ દરિયાકાંઠો છતાં સતત વધી રહેલાં ડ્રાફ્ટની સમસ્યાનું નિરાકરણ થઈ શકતું નથી. મોટા ઉપાડે શરૂ કરાયેલી રો-રો ફેરી સર્વિસ પણ સફળ થઈ નથી એટલે તેનાં વડે ઘોઘાના વિકાસની વાતો કોરી ગુલબાંગો સાબિત થઈ છે. સ્થાનિક સ્તરે રોજગારી કે ઉચ્ચ શિક્ષણની કોઈ જોગવાઈ નથી. આરોગ્યસેવાઓ પણ કથળેલી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. પરંતુ આટલી સમસ્યાઓ છે તો પછી એક જ ઉમેદવારને દાયકાઓથી કેમ ચૂંટવામાં આવે છે એ સવાલનો જવાબ કોઈની પાસે નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
પરશોતમ સોલંકી નામ જ એટલું વજનદાર છે કે તેમની સામે રિપોર્ટકાર્ડ શબ્દ જ ટૂંકો પડે. કોળી સમાજના શોષણ સામે પચ્ચીશ વર્ષ પહેલાં તેઓ લડાયકપણે ઝઝુમ્યાં ત્યારથી મસિહા તરીકેની એમની છબી એવી અંકાઈ ગઈ છે કે આજે તેમના વગરની ચૂંટણીની કલ્પના પણ થઈ શકે તેમ નથી. ઘોઘા ઉપરાંત ભાવનગર પશ્ચિમ, પૂર્વ, તળાજા, મહુવા જેવી જિલ્લાની બેઠકો પર પણ તેમનો પ્રભાવ રહે છે.
હરીફ કોણ છે?
કોંગ્રેસનું સ્થાનિક સ્તરે સંગઠન જ નથી રહ્યું એટલે આ બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ખાસ દાવેદાર પણ નથી હોતાં. રેવંતસિંહ ગોહિલ સ્થાનિક સ્તરે નોંધપાત્ર નામ ગણાય છે પરંતુ કાસ્ટ ફેક્ટર અને પરશોતમભાઈના કરિશ્મા સામે ટૂંકા પડતાં હોવાનું સ્થાનિકો કહે છે. જિલ્લામાં ક્ષત્રિયોની અવગણના થતી હોવાના કચવાટને ધ્યાને રાખીને કોંગ્રેસે અહીં ક્ષત્રિય ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જેથી ભાવનગર પશ્ચિમ અને પાલિતાણા જેવી બેઠકો પર પણ કોંગ્રેસને ફાયદો થઈ શકે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાજુલા: અંબરિષ ડેરની આક્રમક લોકપ્રિયતા સામે ભાજપના મજબૂત સંગઠનનો જંગ
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીએ પણ અહીં ક્ષત્રિય ઉમેદવારને ટીકિટ આપી છે. ખુમાનસિંહ ગોહિલ પણ સ્થાનિક છે અને સક્રિય કાર્યકર છે. પરંતુ તેઓ કોંગ્રેસના જ મત તોડીને છેવટે ભાજપની સરસાઈ વધારે એવી શક્યતા નકારી શકાય નહિ.
Advertisement