ભાવનગર એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રજાવત્સલતા વડે પોષાયેલ રજવાડી શહેર. કવિઓ, કલાકારો અને બૌદ્ધિકોનું નગર. એડ્રેસ પૂછો તો ય આગળ આગળ દોડીને સ્થળ સુધી મૂકવા આવે એવાં હોંશીલા, માણસઘેલા માણસોનું ગામ. ડાયરાની ભાષામાં કહીએ તો સંત અને શૂરાની ભૂમિ. ગાંઠિયા, સમોસા, દાળપૂરી, દાળ-પકવાનથી માંડીને પાંઉ-ગાંઠિયા જેવી ટિપિકલ ભાવનગર સ્ટાઈલની સ્વાદિષ્ટ વાનગીની અઢળક વિવિધતા ધરાવતું ભાવનગર ગુજરાત રાજ્યની રચના વખતે રાજકોટ સાથે વિકાસની હરીફાઈમાં ગણાતું હતું. પરંતુ રાજકોટ ક્યાંય આગળ નીકળી ગયું અને દૃષ્ટિહિન અને નબળી સ્થાનિક નેતાગીરીના કારણે ભાવનગર હવે જૂની જાહોજલાલીના સ્મરણોમાં થીજી ગયેલું શહેર ગણાવા લાગ્યું છે. ગુજરાતનું આ એક એવું શહેર છે જ્યાં ધંધા-રોજગારની નવી તકો ન હોવાથી બહારથી આવનારાં ઓછાં છે અને અહીંથી બહાર જનારાંની સંખ્યા વધુ છે. પરિણામે સ્થાનિક વસ્તીનો વૃદ્ધિદર સતત ઘટી રહ્યો છે. પ્રથમ ચૂંટણી વખતે ભાવનગર બેઠક હતી, જે 1975માં પ્રથમ સીમાંકન પછી ભાવનગર ઉત્તર અને દક્ષિણ એવી બે બેઠકોમાં વિભાજીત થઈ. 2008ના સીમાંકન પછી એ જ દક્ષિણની બેઠક થોડાં ફેરફાર સાથે ભાવનગર પૂર્વ તરીકે ઓળખાય છે. મહાનગરપાલિકાના 9 વોર્ડ ધરાવતી આ શહેરી બેઠકમાં કુલ 2,61,565 ઉમેદવારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
1985માં દિગંત ઓઝા કોંગ્રેસની ટીકિટ પર અહીંથી જીત્યા એ પછી એકપણ વખત ભાજપ સિવાયના કોઈ પક્ષને અહીં સફળતા મળી નથી. એ દર્શાવે છે કે આ વિસ્તાર ભાજપનો અડીખમ ગઢ છે. અહીંથી જીતતા ઉમેદવારોને પ્રધાનમંડળમાં પણ નિશ્ચિતપણે સ્થાન મળતું રહ્યું છે. પ્રતાપ શાહ, મનુભાઈ વ્યાસ જેવા ગાંધીવાદી અગ્રણીઓ પછી મહેન્દ્ર ત્રિવેદી ચાર વખત અને વિભાવરી દવે ત્રણ વખત આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. અહીં ભાજપની મજબૂત વોટબેન્ક હોવાથી ભાજપ બિનરાજકીય પ્રતિભાશાળી ઉમેદવારને ઉતારીને વિધાનસભામાં મોકલી શકે એવી તક હોય છે. પરંતુ કમનસીબે ભાજપ આ વખતે એવો પ્રયોગ કરવાની હિંમત દાખવી શક્યું નથી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | મહેન્દ્ર ત્રિવેદી | ભાજપ | 13,259 |
2002 | મહેન્દ્ર ત્રિવેદી | ભાજપ | 26,194 |
2007 | વિભાવરીબેન દવે | ભાજપ | 25,177 |
2012 | વિભાવરીબેન દવે | ભાજપ | 39,508 |
2017 | વિભાવરીબેન દવે | ભાજપ | 22,442 |
(છેલ્લા બે પરિણામો નવા સીમાંકન પછીના છે)
આ પણ વાંચો: #બેઠકપુરાણ ભાવનગર (પશ્ચિમ): બે ટર્મથી જીત અપાવતા જીતુભાઈની હેટ્રિક સામે ક્ષત્રિયવટનો પડકાર
કાસ્ટ ફેબ્રિક
સમગ્ર જિલ્લાની માફક આ બેઠક પર પણ કોળી સમાજનું સંખ્યાત્મક પ્રભુત્વ છે. સમાંતરે બ્રાહ્મણ, વાણિયા, લોહાણા, ક્ષત્રિય અને પાટીદાર જેવા સવર્ણોની સંખ્યા પણ એટલી જ નોંધપાત્ર હોવાથી મોટાભાગે આ બેઠકો પર બ્રાહ્મણ ઉમેદવારો જીતતા આવ્યા છે. કુલ 13 ચૂંટણીમાં 9 વખત બ્રાહ્મણ અને 4 વખત વણિક ઉમેદવારો અહીંથી જીત્યા છે એ સવર્ણોનું પ્રભુત્વ સૂચવે છે. જિલ્લાની અન્ય બેઠકો પર કોળી અને ક્ષત્રિય સમાજને તક મળતી રહે છે.
સમસ્યાઓઃ
મહારાજા કૃષ્ણકુમારસિંહજીના વખતનું બેનમૂન નગર આયોજન કમનસીબે આઝાદી પછી આગળ વધારી શકાયું નથી. પહોળા વિશાળ રસ્તા, મોટા સર્કલના કારણે ટ્રાફિક જામની સમસ્યા હજુ પણ નડતી નથી. ભૂગર્ભ ગટરનું દાયકાઓ જૂનું આયોજન આજે પણ ઉપયોગી નીવડે છે. પરંતુ મહારાજાએ કરેલાં કામો પછી ખાસ કશું જ અહીં થયું નથી. અહીં સૌથી મોટી સમસ્યા મુસ્લિમ વસ્તીના અતિક્રમણની છે. અશાંત ધારો લાગુ કરવામાં ન આવતો હોવાથી જૂના વિસ્તારોમાં ઝડપભેર સામાજીક સમીકરણો બદલાઈ રહ્યા છે. ભાજપનો ગઢ અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં આ ફરિયાદ બહુ વરવી લાગે છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ રાજુલા: અંબરિષ ડેરની આક્રમક લોકપ્રિયતા સામે ભાજપના મજબૂત સંગઠનનો જંગ
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ત્રણ ટર્મથી અહીં પ્રતિનિધિત્વ કરનાર વિભાવરીબહેન દવેનું નામ આ વખતે નો રિપિટમાં નિશ્ચિત મનાતું હતું. તેમનાં સ્થાને ભાજપની દીર્ઘદૃષ્ટા નેતાગીરી કોઈ બિનરાજકીય પ્રતિભાશાળીને તક આપશે એવી પાકી ધારણાં મૂકાતી હતી. જેમાં શિક્ષણવિદ્ ડો. અમી ઉપાધ્યાયથી માંડીને પરેશભાઈ ત્રિવેદી અને રા.સ્વ.સંઘના સ્વચ્છ છબી ધરાવતા કમલેશ ત્રિવેદી સહિતના નામો ચર્ચામાં હતા. પરંતુ ભાજપે સઘન વિચારણા અને ખેંચતાણ પછી પ્રયોગ કરવાની હિંમત દાખવવાને બદલે વિભાવરીબહેનના ઈશારે શહેર ભાજપપ્રમુખ રાજીવ પંડ્યાના પત્નીને ટીકિટ આપીને ઘર ભણી જ નાળિયેર ફેંક્યું. સેજલબહેનનું ભાજપમાં કશું યોગદાન નથી એવો સ્થાનિક કાર્યકરોમાં કચવાટ છે, છતાં તેમનાં માટે જીતવાનું ખાસ મુશ્કેલ નહિ હોય.
આ પણ વાંચો: #બેઠકપુરાણ જામનગર (ઉત્તર): હિન્દુવાદ+મોદીનો કરિશ્મા+રિવાબા=માતબર સરસાઈ
હરીફ કોણ છે?
કોંગ્રેસ આ બેઠક પરથી હિતેશ વ્યાસ અથવા જીતુ ઉપાધ્યાય જેવા સારી છબી ધરાવતા બ્રાહ્મણ ઉમેદવારને ઉતારશે તેવી ધારણા વચ્ચે કોંગ્રેસે અહીં કોળી ઉમેદવારને પસંદગી આપી છે. બળદેવ સોલંકી સ્થાનિક ઉમેદવાર છે પરંતુ અસંખ્ય દાવેદારોમાંથી તેમની પસંદગી થઈ હોવાથી જૂથવાદ તેમને નડે તેવી પૂરી સંભાવના છે. વળી સવર્ણ કાર્યકરો નિષ્ક્રિય રહે તો કોંગ્રેસી ઉમેદવાર માટે ઓછા સમયમાં લાંબી ફાળ ભરવાનું આસાન નહિ હોય.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના હમીર રાઠોડ અહીંના રાજકીય, સામાજીક સમીકરણો મુજબ અત્યંત નબળા ઉમેદવાર ગણાય છે. કેજરીવાલના એકધારા પ્રચાર છતાં ભાવનગરની આ બેઠક આમઆદમી પાર્ટીએ ભેદી રીતે ભાજપને તાસક પર ધરી દીધી હોય તેવી છાપ ઉપસે છે. હવે અહીં કોઈ રસાકસી વગર ભાજપે ફક્ત સરસાઈ પર જ ધ્યાન આપવાનું રહેશે.
Advertisement