મુંબઈઃ એક અજાણી વ્યક્તિએ મંગળવારે નાગપુર પોલિસ કન્ટ્રોલ રૂમને ફોન કરીને બોલિવુડના દિગ્ગજ સ્ટાર્સના બંગલામાં બોમ્બ મૂકયા હોવાનો દાવો કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે નાગપુર પોલીસ કન્ટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો. તેમાં એક અજાણી વ્યક્તિએ બોલિવુડના પ્રખ્યાત અભિનેતાઓ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર તેમજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે બોમ્બ મૂક્યા હોવાનો દાવો કર્યો હતો. આ સમાચારથી અફરા-તફરી મચી ગઈ હતી. નાગપુર પોલીસ પાસેથી આ માહિતી મળ્યા પછી મુંબઈ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને સ્ટાર્સના ઘર બહાર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દીધી હતી. તે સાથે જ પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી હતી. જોકે, તપાસમાં કશું મળી આવ્યું ન હતું.
Advertisement
Advertisement
આ વ્યક્તિએ તેમના બંગલા બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાની વાત કરી હતી. એટલું જ નહીં પણ આ આતંકી હુમલાને અંજામ આપવા માટે 25 આતંકવાદી મુંબઈ પહોંચી ગયા હોવાનો દાવો પણ અજાણી વ્યક્તિએ ફોનમાં કર્યો હતો. આ ધમકી આપીને તરત જ તેણે ફોન કાપી નાખ્યો હતો.
મુંબઈમાં અમિતાભ બચ્ચનના પાંચ વૈભવી બંગલા છે. જેમાં જલસા, જનક, વત્સ અને પ્રતિક્ષાનો સમાવેશ થાય છે. પ્રતિક્ષા એ બચ્ચન પરિવારે મુંબઈમાં ખરીદેલી પહેલી પ્રોપર્ટી છે. પ્રતિક્ષામાં જ બચ્ચનના માતા-પિતા રહેતા હતા. બીજી બાજુ ધર્મેન્દ્રનો બંગલો પણ જૂહુમાં આવેલો છે. તેમના બંગલા જૂહુ, વિલેપાર્લે અને ગામદેવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા હોવાથી ત્યાંની પોલીસે તેમના બંગલાઓની સુરક્ષા વધારી દીધી હતી.
પોલીસે આ માહિતી મળતા જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમને તેમના બંગલા પર મોકલીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલ પોલીસ તે કોલરની શોધખોળ કરી રહી છે. જોકે, હજુ સુધી તે અજાણી વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નથી.
Advertisement