વાંચો ખાસ અહેવાલ આલેખન-કિન્તુ ગઢવી
Advertisement
Advertisement
ગુજરાતમાં જલમંદિરનો વારસો સદીઓ જુનો છે. એકલા ગુજરાત રાજ્યમાં જ 769 જેટલી વાવ આવેલી છે. આ વાવોનો ઇતિહાસ અનેરો છે. જેમાં રાણની વાવ શિરમોર છે એ પછી અડાલજની વાવ, દાદાહરિની વાવ, જેઠાભાઈની વાવ, વઢવાણની માધાવાવ, ચૌબારીની વાવ, કપડવંજની બત્રીસ કોઠા વાવ, ચૌબારીની વાવ આપણાં ઇતિહાસ સાથે પણ વણાયેલી છે.
છેલ્લા બે દશકથી રાજ્ય સરકારે જલમંદિર પ્રૉજેક્ટ અંતર્ગત ગુજરાતની તમામ વાવને જલમંદિરનો દરજ્જો આપીને તેમના સંરક્ષણ માટેની એક જાગૃતિ ઊભી કરી હતી.
જો કે ઉપરોક્ત 769માંથી આજે પણ મોટા ભાગની વાવ બિસ્માર હાલતમાં છે. મોટા ભાગની લોકોમાં હેરિટેજના મૂલ્ય પરત્વેની જાગૃતિના અભાવે અસ્વચ્છતાના કારણે મોટા ભાગની વાવ બિસ્માર હાલતમાં છે. છતાં સરકારના જલમંદિર પ્રૉજેક્ટના કારણે ઘણી ખરી વાવ માટે લોકોમાં જાગૃતિ આવી છે અને હેરિટેજ માટે લોકો વિશેષ સભાન થયા છે.
ખાસ કરીને ગુજરાતની મુખ્ય વાવોની વાત કરીએ તો વાવના ચાર પ્રકાર છે નંદા, ભદ્રા, જયા અને વિજ્યા. જે વાવમાં એક જ પ્રવેશદ્વાર છે તેને નંદા પ્રકારની વાવ કહેવામાં આવે છે. આ પ્રકારની વાવ સૌથી વધુ છે. જો કે પ્રવેશ દ્વાર એ વાવની શ્રેષ્ઠતા સાબિત કરતો નથી. એવી જ રીતે જેમાં બે પ્રવેશ દ્વાર છે તેને ભદ્રા, ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવને જયા અને ચાર પ્રવેશ દ્વારવાળી વાવને વિજ્યા કહેવામાં આવે છે.
ચૌબારીની વાવ વિજ્યા વાવની શ્રેણીમાં આવે છે. જ્યારે પાટણની રાણીની વાવ નંદા પ્રકારની હોવા છતાં તેની અદ્દભૂત કોતરણીને કારણે તે આખા વિશ્વમાં પ્રખ્યા છે અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન ધરાવે છે. આ વાવ રાણી ઉદયમતિના કલ્યાણકારી કાર્યોનું પ્રતિક છે.
આજે તો સિંચાઈ યોજના દ્વારા ઘરે ઘરે પીવાના પાણી પહોંચાડી શકાય છે પરંતુ એક જમાનામાં કૂવા અને વાવ જળસંગ્રહના સ્ત્રોત હતા. આવા સમયે વાવ બાંધવી એ મોટા લોકકલ્યાણનું કાર્ય ગણાતું.
વાવ સ્થાપત્યમાં ગુજરાતના સોલંકી વંશનો ફાળો અમૂલ્ય અને અવર્ણનીય છે. એ પછી અમદાવાદની અડાલજની વાવ પણ રાણી રુડીબાઈના કલ્યાણકારી કાર્યને દર્શાવે છે તો મુહમ્મદ શાહ બેગડાએ બનાવેલી દાદાહરિની વાવ પણ લોકઅનુકંપાનું જ ઉદાહરણ છે.
વાવનો ઉપયોગ માત્ર જળસંગ્રહ પૂરતો જ નહીં પરંતુ મુસાફરોને રાતવાસો કે વાવના છાયામાં થાક ખાવા તરીકે પણ થતો. જેમ જેમ વાવનો ઉપયોગ ઓછો થતો ગયો એ પછી ડાકુઓ, લૂટારાઓ અને અસામાજિક તત્ત્વોએ આ જગ્યાનો ઉપયોગ કરવાનો શરુ કર્યો. રાજસ્થાનમાં વાવ માટે ‘બાવડી’ શબ્દનો ઉપયોગ થાય છે.
રાજસ્થાનમાં નિમરાણા ગામે આવેલી ‘ચંદ બાવડી’ પણ વિશ્વ પ્રસિદ્ધ છે. રાજસ્થાનમાં પણ પગથિયાવાળી અને ખુલ્લી વાવો વધુ પ્રચલિત છે. તો વળી છેક કાશ્મીર, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પણ છૂટો છવાયો વાવનો વારસો જોવા મળે છે.
ગુજરાત અને રાજસ્થાનમાં પ્રવર્તતી પાણીની સમસ્યાને કારણે આ બે રાજ્યોમાં વાવ સ્થાપત્ય વધું છે.
રાણીની વાવમાં જે મૂર્તિઓ અંકિત કરવામાં આવે છે તેનું નકશીકામ બેનમૂન છે. મહિસાગર જિલ્લામાં કલેશ્વરી પાસે આવેલી દેરાણી-જેઠાણીની વાવ પણ બેનમૂન છે. વાવ પર દેવી દેવતાઓની મૂર્તિઓ સિવાય જીવનશૈલીને લગતી મૂર્તિઓ પણ મૂકવામાં આવતી. જેમ કે કેટલીક વાવમાં તો સગર્ભા સ્ત્રીઓના શ્રીમંત પ્રસંગો, લગ્ન પ્રસંગો, કિચક, પૌરાણિક પ્રસંગો પણ અંકિત કરવામાં આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે પાટણની રાણીની વાવના ગર્ભમાં તાંબાનો થાંભલો મુકવામાં આવ્યો હતો જેથી લોકોને તાંબાયુક્ત પાણી મળી રહે. માધાવાવ પાછળ એક દંપતિના બલિદાનની વાર્તા અને…બાર બાર વરસે નવાણ ગળાવ્યા… જેવું મધુર લોકગીત આજે પણ આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે.
Advertisement