મુંબઈમાં યુએનએસસીની બેઠક: ભારત આજે પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાઉન્ટર-ટેરરિઝમ કમિટી (સીટીસી)ની વિશેષ બેઠકનું આયોજન કરશે. આ બેઠકમાં ‘આતંકવાદને રોકવા અને તેને પહોંચીવળવાના હેતુ માટે નવી અને ઉભરતી ટેક્નોલોજીના ઉપયોગ કરવા અંગેના’ વિષય પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક એટલા માટે મહત્વ ધરાવે છે કારણ કે તે એ જ મુંબઈ શહેરમાં યોજાઈ રહી છે જ્યાં 14 વર્ષ પહેલા આતંકી હુમલો થયો હતો.
Advertisement
Advertisement
આ અંગે વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ જણાવ્યું હતું કે, UNSC-CTC ભારતમાં આ બે દિવસીય આતંકવાદ વિરોધી સંમેલનનું આયોજન કરી રહી છે, જે મુંબઈથી શરૂ થશે. 28 ઓક્ટોબરે મુંબઈમાં હોટેલ તાજમહેલ પેલેસમાં 26/11ના આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહેશે. તેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15 સભ્યો અને અન્ય પ્રતિનિધિઓ સામેલ થશે.
મુખ્ય ઉદ્દેશ્ય આતંકનો સામનો કરવાનો છે
આતંક ફેલાવવા માટે ઉભરતી ટેક્નોલોજીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય છે. નવી અને ઉભરતી ટેક્નોલોજીના દુરુપયોગ તેમજ આતંકવાદને નાથવા માટે ટેક્નોલોજીના ઘણા સકારાત્મક ઉપયોગો દ્વારા ઉદભવતા વધતા ખતરાને ધ્યાનમાં રાખીને આતંકવાદ વિરોધી સમિતિએ પ્રથમ વખત ભારતમાં આ વિશેષ બેઠક યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ બેઠકથી ભારત શું સંદેશ આપવા માંગે છે?
તાજ હોટલમાં આ બેઠક યોજવાનો ઉદ્દેશ્ય પાકિસ્તાનને આકરો સંદેશ આપવાનો પણ છે, જ્યાંથી આવેલા આતંકવાદીઓએ વર્ષ 2008માં આતંકવાદી હુમલો કર્યો હતો, પરંતુ આતંકવાદીઓને પાળનાર આઈએસઆઈને તેનાથી ફરક પડશે કે નહીં તે અંગે કંઇ અભિપ્રાય આપી શકાય નહીં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને આ યુએન સમિતિના અધ્યક્ષ, રુચિરા કંબોજનું માનવું છે કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરાઓમાંથી એક છે. તેમના મતે આ બેઠકમાં આતંકવાદીઓ દ્વારા ઈન્ટરનેટના ઉપયોગ, નવી પેમેન્ટ સિસ્ટમ અને ડ્રોનનો સામનો કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
જેમાં અનેક દેશોના વિદેશ મંત્રીઓ સામેલ થશે
વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ કહ્યું, “બ્રિટનના વિદેશ પ્રધાન જેમ્સ ક્લેવરલી, ગેબનના વિદેશ પ્રધાન માઈકલ મૂલા એડમો અને અન્ય દેશોના વિદેશ પ્રધાનો ભારતમાં યુએનની આતંકવાદ વિરોધી સમિતિના સંમેલનમાં ભાગ લેશે.” મુંબઈ બાદ 29 ઓક્ટોબરે નવી દિલ્હીમાં બેઠક યોજાશે, જેમાં ત્રણ મુદ્દા પર આધારિત એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે. જેમાં આતંકવાદીઓ દ્વારા ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજીના શોષણને રોકવા, ઈન્ટરનેટનો દુરુપયોગ અને આતંકવાદીઓ દ્વારા નવી પેમેન્ટ પદ્ધતિઓનો સામનો કરવા અને ડ્રોન સહિતના માનવરહિત વાહનોના ઉપયોગને નાથવા પર ચર્ચા કરવામાં આવશે.
Advertisement