દિલ્હી: કેન્દ્ર સરકારની ટીકા કરતા સુપ્રીમ કોર્ટે આજે ED ચીફ સંજય મિશ્રાને ત્રીજી વખત એક્સટેન્શન આપવાના આદેશને રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે ED ચીફનું ત્રીજી વખત એક્સટેન્શન યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ED ડિરેક્ટરનું ત્રીજી વખત સર્વિસ એક્સટેન્શન ગેરકાયદેસર છે અને કાયદેસર રીતે માન્ય નથી. જોકે, સરકારને રાહત આપતાં સુપ્રીમ કોર્ટે સેવા વિસ્તરણ અંગેના કાયદામાં કરેલા સુધારાને યોગ્ય ગણાવ્યો છે.
Advertisement
Advertisement
31 જુલાઈ સુધી સંજય કુમાર આ હોદ્દે રહેશે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ED નિદેશક સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને લંબાવવાનું ગેરકાયદેસર છે. પરંતુ, તેઓ 31 જુલાઈ 2023 સુધી તેમના પદ પર ચાલુ રહેશે. જેથી નજીકના ભવિષ્યમાં જ્યારે FATFની સમીક્ષા કરવામાં આવે ત્યારે સત્તાનું સરળ પરિવર્તન અને હસ્તાંતરણ સુનિશ્ચિત કરી શકાય.
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા જયા ઠાકુરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નિદેશક સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને ત્રીજી વખત લંબાવવા સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે વારંવાર કાર્યકાળ વધારવાથી દેશની લોકશાહી પ્રક્રિયાનો નાશ થઈ રહ્યો છે. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર તેના રાજકીય વિરોધીઓ સામે એજન્સીઓનો દુરુપયોગ કરીને લોકશાહીના મૂળભૂત માળખાને નબળું પાડી રહી છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં કાર્મિક મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, 1984 બેચના ભારતીય રેવન્યુ સર્વિસ (IRS)અધિકારી મિશ્રાને 18 નવેમ્બર, 2023 સુધી એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે કોર્ટે તે આદેશ રદ કરી દીધો છે. તેથી તેમણે 31મી જુલાઈએ પદ છોડવું પડશે.
સુપ્રીમ કોર્ટે ED નિદેશક સંજય કુમાર મિશ્રાના કાર્યકાળના વિસ્તરણને ગેરકાયદેસર ગણાવ્યું છે. કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે આ સરકારના મોં પર જોરદાર તમાચો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી મુદત લંબાવવાના હેતુ પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. આ કેન્દ્ર સરકારની મોટી નિષ્ફળતા છે.
Advertisement