કર્ણાટકના DGP પ્રવીણ સૂદ CBIના આગામી ડિરેક્ટર હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને CJI DY ચંદ્રચુડ 1986 બેચના IPS અધિકારીના નામ પર સહમત થયા હતા. સંભવિતોની યાદીમાં સૂદ સૌથી વરિષ્ઠ હતા. તેના આધારે પીએમ અને સીજેઆઈએ દેશની સૌથી મોટી તપાસ એજન્સીને તેમને સોંપવાનું મન બનાવ્યું.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સૂદના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેઓ સીબીઆઈ ડાયરેક્ટરની નિમણૂક કરવા માટેની ત્રણ સભ્યોની સમિતિમાં પણ છે. શનિવારે દિલ્હીમાં હાઈ કમાન્ડની હેઠક જોઈ હતી.
જાણીતા અંગ્રેજી દૈનિકના રિપોર્ટ અનુસાર અધીર રંજન ચૌધરીએ સૂદની ઉમેદવારી સામે ખૂબ જ વિગતવાર દલીલ કરી છે. તેમનો વાંધો મુખ્યત્વે એ હતો કે સૂદ કેન્દ્રમાં DGP સ્તરે સેવા આપવા માટે લાયક IPS અધિકારીઓના પૂલનો ભાગ નથી. તેમ છતા PM અને CJIનો અભિપ્રાય સમાન હોવાથી સૂદનો દાવો ખૂબ જ મજબૂત બન્યો. રવિવારે બપોરે તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી.
સીબીઆઈની કમાન હાલમાં સુબોધ કુમાર જયસ્વાલના હાથમાં છે. તેમનો બે વર્ષનો કાર્યકાળ આ મહિનાની 25મી તારીખે પૂરો થઈ રહ્યો છે. તેમના પછી સૂદ રેસમાં સૌથી વરિષ્ઠ છે.
મળતી માહિતી અનુસાર CJI કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)ને મોકલવામાં આવેલા ત્રણ નામોમાંથી સૌથી વરિષ્ઠ અધિકારીને CBI ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાના પક્ષમાં હતા. સૂદની નિવૃત્તિની તારીખ 31 મે 2024 છે. તેમને સીબીઆઈ ડાયરેક્ટર બનાવ્યા બાદ તેમનો કાર્યકાળ મે 2025 સુધી નક્કી થઈ શકે છે.
1986 બેચના અન્ય બે યોગ્ય અધિકારીઓમાં CISFના વડા શિલવર્ધન સિંહનો સમાવેશ થાય છે, જેઓ ઓગસ્ટમાં નિવૃત્ત થઈ રહ્યા છે. જ્યારે NSG ચીફે એમ એ ગણપતિ માર્ચ 2024માં નિવૃત્ત થવાના છે. ગણપતિ પાસે સીબીઆઈમાં કામ કરવાનો અનુભવ પણ છે. આમ છતા પેનલમાં બહુમતીનું વલણ સૂદની તરફેણમાં જોવા મળ્યું હતું. સૂદે અગાઉ ક્યારેય સીબીઆઈ સાથે કામ કર્યું નથી.
જોવા જઈએ તો દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને સીવીસી એક્ટમાં થયેલા ફેરફારો પછી ટેકનિકલી સુબોધને એક્સટેન્શન આપવામાં આવી શક્યું હોત. આ સુધારો દ્વારા CBI અને EDના વડાઓની મહત્તમ મુદત ઘટાડીને પાંચ વર્ષ કરી દેવામાં આવી છે. તે બે વર્ષની નિશ્ચિત મુદત ધરાવે છે, જેને જાહેર હિતમાં વધુ ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે, એક-એક વર્ષ કરી શકાય.
પ્રવીણ સૂદ 22 વર્ષની ઉંમરે IPS બન્યા
પ્રવીણ સૂદ હિમાચલ પ્રદેશના કાંગડાના રહેનાર છે. તેમના પિતા ઓમ પ્રકાશ સૂદ દિલ્હી સરકારમાં ક્લાર્ક હતા, જ્યારે માતા કમલેશ સૂદ દિલ્હીની સરકારી સ્કૂલમાં ટીચર હતા. સૂદની સ્કૂલિંગ દિલ્હીની સરકારી સ્કૂલમાં થઈ હતી. આ પછી તેઓ આઈઆઈટી દિલ્હીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક થયા.
1986માં તેઓ 22 વર્ષની ઉંમરે આઈપીએસ બન્યા. તેમણે કર્ણાટક કેડર મળ્યું. સર્વિસ દરમિયાન તેઓ આઈઆઈએમ બેંગલુરુમાં પબ્લિક પોલીસ મેનેજમેન્ટમાં એમબીએ પૂરું કર્યું. પોલીસ સર્વિસની શરુઆતના સમયે તેઓ બેલ્લારી અને રાયપુરમાં એસપી રહ્યા હતા. આ સિવાય તેઓ બેંગલુરુ અને મેસૂરુમાં ડીસીપી પણ રહ્યા છે.
પ્રવીણ સૂદની પત્ની વિનીતા સૂદ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. તેમને બે દીકરીઓ છે, એક દીકરી આશિતા સૂદ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. આશિતા ક્રિકેટર મયંક અગ્રવાલ સાથે 2018માં સગાઈ કરી અને 2022માં લગ્ન કર્યા હતા. મયંક અગ્રવાલ બેંગલુરુના રહેનાર છે. તેઓ સ્થાનિક ટુર્નામેન્ટમાં વધુ જોવા મળે છે. હાલ તેઓ આઈપીએલ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાંથી રમી રહ્યા છે.
કર્ણાટકના વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ડી કે શિવકુમારે પ્રવીણ સૂદને નાલાયક કહ્યા હતા
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા 14 માર્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી કે શિવકુમારે પ્રવીણ સૂદને નાલાયક શબ્દનો ઉપયોગ કર્યો હતો. શિવકુમારે કહ્યું કે અમારા ડીજીપી આ પદ માટે લાયક નથી. તેઓ ત્રણ વર્ષથી ડીજીપી છે. પરંતુ ભાજપાના કાર્યકર્તાઓના કામ કરે છે. તેમની સામે એફઆઈઆર થવી જોઈએ. શિવકુમારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ કાર્યકર્તાઓ પર 25 કેસ દાખલ કર્યા છે પરંતુ ભાજપાના નેતાઓ સામે એક પણ કેસ દાખલ કર્યો નથી. અમે ચૂંટણી દરમિયાન આયોગ સામે ફરિયાદ કરી હતી. તેઓ પ્રવીણ સૂદની ધરપકડની માંગ કરી છે. શિવકુમારે કહ્યું કે આ ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બની તો સૂદ સામે સખત કાર્યવાહી કરાશે.
Advertisement