નવી દિલ્હી: ચૂંટણી પંચમાં ટોચની નિમણુંકો અંગે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણુંક હવે વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અને લોકસભામાં વિપક્ષના નેતાની કમિટી કરશે. ન્યાયમૂર્તિ કે એમ જોસેફે જણાવ્યું કે લોકશાહીને જાળવી રાખવા માટે ચૂંટણીની પ્રક્રિયાની અખંડિતતાની જાળવણી કરવી પડશે નહીંતર તેના વિનાશક પરિણામો આવશે.
Advertisement
Advertisement
સમિતિમાં કોણ – કોણ હશે ?
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણુંક માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં વડા પ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સામેલ હશે. સુપ્રીમ કોર્ટે દેશમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણુંક માટે કોલેજીયમ જેવી સ્વતંત્ર પેનલની રચનાનો આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. ત્રણ સભ્યોની સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા આ નિમણુંકો કરવામાં આવશે.
પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણ બેંચનો ચુકાદો
આ ચુકાદો પાંચ જજની બંધારણ બેંચે લીધો છે. આ બેંચમાં ન્યાયમૂર્તિ કે એમ જોસેફ, ન્યાયમૂર્તિ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, ઋષિકેશ રોય અને સી ટી રવિકુમારનો સમાવેશ થાય છે. વાસ્તવમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણુંક નિષ્પક્ષ અને પારદર્શી પદ્ધતિએ કરવાના મામલે એક અરજી કરવામાં આવી હતી. આ અરજી પર થયેલી સુનાવણી બાદ આ મહત્ત્વનો ચુકાદો લેવામાં આવ્યો હતો. બેંચમાં સામેલ જસ્ટિસ રસ્તોગીએ જણાવ્યું હતું કે તેઓ જસ્ટિસ જોસેફના નિર્ણય સાથે સહમત છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણુંક માટેની હાલની પ્રક્રિયા રદ કરવામાં આવશે. હવે આ નિમણુંકો માટે સમિતિની રચના કરાશે.
ચૂંટણી પંચ સ્વતંત્ર હોવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ સ્વતંત્ર હોવું જોઈએ. તે સ્વતંત્ર હોવાનો માત્ર દાવો કરવો જોઈએ નહીં. એક સ્વતંત્ર વ્યક્તિ સત્તા પર રહેલા લોકોનો ગુલામ બની શકે નહીં. એક પ્રામાણિક વ્યક્તિ તરીકે તેનો સામનો સામાન્ય રીતે મોટા અને શક્તિશાળી લોકો સાથે થતો હોય છે. સરકારે કાયદા મુજબ જ કામગીરી કરવી જોઈએ. તમામ હિતેચ્છુઓ જ્યારે ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતાને જાળવી રાખવાની દિશામાં કામ કરશે ત્યારે જ લોકશાહી સફળ થશે.
હાલની નિમણુંક પ્રક્રિયા
વર્ષ 1950માં ચૂંટણી પંચની રચના કરવામાં આવી હતી. હાલ ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરો હોય છે. કમિશનરોની નિમણુંક માટે સચિવ કક્ષાના વર્તમાન અધિકારીઓ અને સેવાનિવૃત્ત અધિકારીઓની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે.વડા પ્રધાન કોઈ એક નામની ભલામણ કરે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કમિશનરની નિમણુંક કરવામાં આવે છે
Advertisement