ગાંધીનગર: કરાઇ એકેડેમી ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બોગસ રીતે તાલીમ મેળવી રહેલા મયૂર તડવીનો મુદ્દો આજે ગૃહમાં ગુંજ્યો હતો. કોંગ્રેસ દ્વારા આજે ગૃહમાં વિરોધ કરવામાં આવ્યો હતો. કોગ્રેસના ધારાસભ્યોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ દર્શાવ્યો હતો.
Advertisement
Advertisement
કોગ્રેસની માંગણી હતી કે, ગૃહમાં કરાઇ એકેડેમી ખાતે બનેલી ઘટના બાબતે ગૃહમાં ચર્ચા કરવામાં આવે. સરકારને આડે હાથ લઈ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કોઈ બોગસ વ્યક્તિ એકેડેમીમાં પ્રવેશ મેળવી એક મહિના સુધી તાલીમ મેળવી અને પગાર મેળવ્યો તેનો જવાબ સરકાર પાસેથી માંગવામાં આવ્યો હતો. આ બાબતે અધ્યક્ષે વિપક્ષ ધારાસભ્યને વિધાનસભાના કાયદા પ્રમાણે ચર્ચા કરવા માટે સૂચન કર્યુ હતું. જો કે, ગૃહમાં કરાઇ એકેડેમીમાં ચાલતા કૌભાંડ મામલે કોંગ્રેસે ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતું.
આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધી પેપરલીક થાય છે. જેના માટે રાજ્ય સરકાર ગૃહમાં કાયદો લાવી. હવે એક મયૂર તડવી નામનો વ્યક્તિ પરીક્ષા પાસ કર્યો વિના સીધો કરાઇ એકેડેમીમાં પીએસઆઇની તાલીમ મેળવી રહ્યો છે. આ કેવી રીતે શક્ય બની શકે? આ બાબતે સરકારે ગૃહમાં 116 હેઠળની નોટિસ આધારે તાકીદે ચર્ચા કરવી જોઇએ, જેથી ગુજરાતના યુવાનો જે ચિંતા કરી રહ્યા છે તેનો જવાબ યુવાનોને મળી જાય.
ગૃહમાં ચર્ચા કરવાની બધાને છૂટ આપવામાં આવી છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પેપરલીક બાબતે રાજ્ય સરકાર કાયદો લાવી છે. યુવાનો માટે સરકાર ખૂબ સારી રીતે કામ કરી રહી છે. રાજ્યમાં ડ્રગ્સ દૂષણ બાબતે પણ સરકારે સારી કામગીરી કરી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યુ હતું કે, વિધાનસભાના નિયમ પ્રમાણે 116ની નોટિસ આપી છે, એનો મતલબ એ નથી કે આજે જ ચર્ચા થાય. 116ના નિયમ બનેલા છે એ મુજબ કાર્યવાહી થશે. વિધાનસભાના નિયમો મુજબ સમય ચર્ચા માટે સમય આપવામાં આવશે. પરંતુ આજે આ મામલે ચર્ચા નહીં થાય. કોગ્રેસના ધારાસભ્ય વોક આઉટ કરવું હોય તો કરી શકે છે.
પરીક્ષા આપ્યા વગર સીધા પીએસઆઈની તાલીમ લેવા માટે કરાઇ એકેડમીમાં ઘૂસણખોરી કરીને સરકારનો પગાર લીધો હોવાનો કાંડ કાંઇ નાનો સૂનો ના કહેવાય. આ કાંડને લઇને સોશિયલ મીડિયા ઉપર પણ લોકો પોતાની ભડાશ કાઢી રહ્યાં છે. આ અંગે ઘણા યૂઝર્સ તો સીએમનું રાજીનામું પણ માંગી રહ્યાં છે. કેમ કે, આ એક ઘણો મોટો કાંડ ગણી શકાય છે. જે આગામી દિવસોમાં ગુજરાતને એક અલગ રસ્તે લઇ જઇ શકે છે. આ કાંડ લોકોને ગુજરાતનું તેવું ભવિષ્ય દેખાઇ રહ્યું છે જેમાં, મહેનત કરતાં ઇમાનદાર અને હોશિયાર લોકો લાઈબ્રેરીઓમાં વર્ષો પસાર કરે અને પૈસાવાળા લોકો પૈસા ફેકીને સીધી નોકરી લઇ લઇ શકે છે.
હર્ષ સંઘવી પોતે પણ આ મામલાને ગંભીર ગણાવીને મોટું રેકેડ ચાલતું હોવાની શંકા વ્યક્ત કરી
હર્ષ સંઘવીએ પોતે પણ આ કૌભાંડને ખુબ જ ગંભીર ગણાવતા આના પાછળ કોઈ મોટું રેકેટ ચાલતું હોવાની શંકા વ્યક્ત કરી છે. જોકે, આ બાબત પણ ખુબ જ ગંભીર ગણાય કે, આપણા ગૃહ રાજ્યમંત્રીના નાક નીચે આટલું મોટું ગંભીર કાંડ થઇ જાય છે અને તેઓ પોતે પણ આના પાછળ મોટું રેકેટ ચાલતું હોવાની શંકા દર્શાવે છે. હર્ષ સંઘવીને જે રીતની શંકા વ્યક્ત કરી છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે, મયૂર તડવી જેવા અન્ય બોગસ ઉમેદવાર કરાઇ એકેડમીમાં ઘૂસીને ટ્રેનિંગ લઇને બહાર નિકળી ગયા હોઇ શકે છે અથવા અન્ય પણ નકલી ઉમેદવારો કરાઇમાં ટ્રેનિંગ લઇ રહ્યાં હોઇ શકે છે.
હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, વિધાનસભા બહાર હું તમામના જવાબ આપવા માટે તૈયાર છું. કરાઇ એકેડેમી મામલો ગંભીર છે. તેમણે જણાવ્યું કે, આ ગંભીર ગુનાની તપાસ કેટલાય દિવસથી ચાલે છે. આ ઘટના પાછળ મોટું રેકેટ છે. રાજ્યના ડીજીપી દ્વારા ગઇ કાલે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે. જવાબ આપવા માટે અમે તૈયાર છીએ. આજે જવાબ જોઇએ તો મારા ધારાસભ્ય મારા કાર્યાલયમાં આવે. આ બાબતે બીજા રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન થવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.
સરકારે પોતે સ્વીકાર્યું કે નકલી PSI 3 મહિનાથી કરાઇ એકેડમીમાં કરતો હતો ટ્રેનિંગ
કરાઈ એકેડેમીમાં તાલીમ લઈ રહેલા નકલી પીએસઆઈ મયૂર તડવી મામલે આખરે ડભોડા પોલીસમાં ગુનો નોંધાયો છે, જ્યારે કેસની તપાસ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. બીજી તરફ સરકારે સ્વીકાર કર્યો કે, ત્રણ મહિનાથી મયૂર તડવી તાલીમ લેતો હતો. અકાદમીમાં તાલીમ લઈ રહેલા 582 તાલીમાર્થીના ફેબ્રુઆરીનાં પગાર બિલ બન્યાં ત્યારે મયૂર તડવીનું નામ પાસ થયેલા ઉમેદવારોના લિસ્ટમાં હતું જ નહીં. આ બાબત સ્પષ્ટ થતાં ચાર દિવસ પહેલાં જ ગુપ્ત તપાસ શરૂ કરાઈ હતી અને મયૂરની હિલચાલ પર પણ વોચ રખાઈ હતી. તેનો મોબાઇલ નંબર મેળવી તેણે છેલ્લા 3 મહિના દરમિયાન કઈ કઈ વ્યક્તિ સાથે વાત કરી હતી અને કોઈ ગેંગ સાથે મળી અકાદમીમાં પ્રવેશ મેળવ્યો છે કે કેમ તે અંગે તપાસ કરાઈ રહી છે.
સરકારે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, 9 જાન્યુઆરીએ વડોદરા રેન્જના 5 પીએસઆઈને જે નિમણૂક પત્ર અપાયા હતા, તેમાં મયૂરે વિશાલ રાઠવા નામના પાસ થયેલા ઉમેદવારનો ઓર્ડર મેળવ્યો હતો. આ પછી તે નિમણૂક પત્રમાં પાસ થયેલા અન્ય ઉમેદવાર વિશાલ રાઠવા નામને કોઈ એપ દ્વારા ડિલિટ કરી પોતાનું નામ ઉમેર્યું હતું અને બનાવટી નિમણૂકપત્ર બનાવી કરાઈ અકાદમીમાં પ્રવેશ મેળવ્યો હતો.
40 લાખ આપી કરાઈ અકાદમીમાં ઘૂસેલા તડવીનો ખુલાસો યુવા નેતા યુવરાજસિંહે કરતા સરકાર દોડતી થઈ હતી. સરકારે જારી કરેલા ખુલાસામાં યુવરાજસિંહને માહિતી આપનાર કરાઈ ખાતેના કર્મચારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, સરકારની છબિ ખરડાય તે હેતુથી રાજકીય ઇરાદે ગુપ્ત ઇન્ક્વાયરીમાં અવરોધ ઊભો કરવા ગુપ્ત માહિતી યુવરાજસિંહને આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ ખોટા દસ્તાવેજો સાથે હાજર થયેલી અમદાવાદની ધારા જોષી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
શું માસ્ટર માઇન્ડ પકડાશે?
સોશિયલ મીડિયા પર લોકો પોતાની ભડાશ કાઢી રહ્યાં છે કે, તડવીને તો સજા થવી જ જોઈએ પરંતુ તેની સાથે-સાથે તડવીને કરાઇ એકેડમી સુધી લઇ જાનારા તેના આંકાઓની પણ ધરપકડ થવી જોઈએ. સ્વભાવિક છે કે, કોઈ મોટા માથા વગર તડવી કરાઇ એકેડમી સુધી પહોંચી શકે નહીં. તેથી લોકો હજું પણ આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે, શું આવી રીતે બોગશ રીતે માત્ર તડવી એકલો જ કરાઇ સુધી પહોંચ્યો હશે? હવે આવા અનેક પ્રશ્નો છે, તેના હજું સુધી હર્ષ સંઘવી જવાબ આપી શક્યા નથી. લોકોની શંકા-આશંકાઓ ત્યારે જ દૂર થશે, જ્યારે તડવીને કરાઇ એકેડમી સુધી પહોંચાડનારાઓ માસ્ટર માઇન્ડ અને તેના જેવા અન્ય નકલી ઉમેદવારો અંગેની જાણકારી સામે આવશે.
Advertisement