આખ્યાનકાર પ્રેમાનંદે વતનને ‘વ્હાલું વડોદરુ’ ગણાવ્યું એ શહેરને મામૂલી ગોપાલકમાંથી નસીબના જોરે મહારાજા બની ગયેલા સયાજીરાવ ગાયકવાડની દીર્ઘદૃષ્ટિએ પોષ્યું. બાબાસાહેબ આંબેડકર હોય કે મહર્ષિ અરવિંદ, દુનિયાભરના તેજસ્વી લોકોને આમંત્રીને સયાજીરાવે પોતાના શહેરના શિક્ષણને વૈશ્વિક બનાવ્યું. દુનિયાના શ્રેષ્ઠ શિલ્પકારોની કલા વડે શહેરની સજાવટ કરી અને રાજા રવિ વર્મા જેવા વિખ્યાત કલાકાર પાસે ચિત્રો દોરાવ્યા. ફૈયાઝખાઁ અને ઈનાયતખાઁ જેવા દિગ્ગજોને વડોદરામાં દેશની સૌ પ્રથમ મ્યુઝિક કોલેજ સાથે જોડ્યા અને લલિત કલા (ફાઈન આર્ટ્સ)ને પધ્ધતિસરના શિક્ષણનો દરજ્જો અપાવ્યો. એક શાસક પોતાના શાસનકાળમાં શું કરી શકે તેનું સમગ્ર દુનિયા સમક્ષ મૂકી શકાય એવું દૃષ્ટાંત સયાજીરાવે વડોદરા શહેર સ્વરૂપે આપ્યું છે. ગુજરાત રાજ્યની રચના પછી વડોદરા શહેરની આ બેઠક વાડી તરીકે ઓળખાતી હતી. નવા સીમાંકન પછી તેમાંથી કેટલોક વિસ્તાર સયાજીગંજમાં ઉમેરાયો અને હવે આ બેઠક વડોદરા શહેર તરીકે અથવા વડોદરા શહેર-વાડી તરીકે ઓળખાય છે. નવા સીમાંકન પછી આ બેઠક અનુસુચિત જાતિ માટે અનામત છે. અહીં કુલ 2,74,421 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજઃ
મરાઠીભાષીઓનું વૈચારિક વર્ચસ્વ હોવાથી નાગપુરમાં શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હિન્દુત્વનો વિચાર ગુજરાતમાં સર્વપ્રથમ વડોદરાએ ઝીલ્યો હતો. આઝાદી પછી રા.સ્વ.સંઘે પોતાની વિચારધારાને રાજકીય પાંખ આપી અને જનસંઘની શરૂઆત કરી ત્યારે પણ જનસંઘનું પહેલું કાર્યાલય વડોદરામાં શરૂ થયું હતું. એટલે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું સમીકરણ વડોદરાને હરહંમેશ આકર્ષતું રહ્યું છે. વાડી અને છેલ્લી બે ચૂંટણી વડોદરા શહેર બેઠક તરીકે એમ સળંગ ગણીએ તો 1985 પછી અહીં કોંગ્રેસના ઉમેદવાર જીતી શક્યા નથી.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | ભુપેન્દ્ર લાખાવાલા | ભાજપ | 20,401 |
2002 | ભુપેન્દ્ર લાખાવાલા | ભાજપ | 46,076 |
2007 | ભુપેન્દ્ર લાખાવાલા | ભાજપ | 29,387 |
2012 | મનીષા વકીલ | ભાજપ | 51,889 |
2017 | મનીષા વકીલ | ભાજપ | 52,383 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ સયાજીગંજ (વડોદરા): અડિખમ ગઢમાં ભાજપ માટે આ વખતે સ્થિતિ આસાન નથી
કાસ્ટ ફેબ્રિક
આશરે 75,000 ઓબીસી મતદારોનું આ બેઠક પર સંખ્યાત્મક પ્રભુત્વ છે. એ ઉપરાંત 50,000 દલિતો અને 35,000 જેટલાં પાટીદારો પણ નિર્ણાયક છે. અનુસુચિત જાતિ માટે અનામત બેઠક હોવાથી પાટીદારો અને ઓબીસી જ્ઞાતિસમુહ અહીં નિર્ણાયક બને છે. જોકે વડોદરા શહેરમાં કાસ્ટ ફેક્ટર ખાસ પ્રભાવક હોતું નથી. મતદારો એટલાં શિક્ષિત અને પુખ્ત છે કે જ્ઞાતિ જોયા વગર પક્ષની નીતિ અને ઉમેદવારની નિયતના આધારે મતદાન કરતાં હોય છે.
સમસ્યાઓઃ
ગીચ રસ્તાઓ, ગેરકાયદે બાંધકામો, જૂનવાણી બાંધકામોના ડિમોલિશન કે રિડેવલપેન્ટની કડાકૂટભરી પ્રક્રિયા એ સ્થાનિક સ્તરે મુખ્ય સમસ્યા ગણાય છે. રખડતાં ઢોરની સમસ્યા પણ નાગરિકોને ત્રાસદાયક લાગે છે. અમદાવાદમાં ભદ્રના પાથરણાં બજારની કાયાપલટ કરવામાં આવી એ રીતે માંડવીથી ન્યાયમંદિર સુધીના જૂનાં બજાર વિસ્તારને તેની આગવી ઓળખ યથાવત રાખીને નવજીવન આપવાની વાતો અમલમાં મૂકાઈ નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ અકોટા (વડોદરા): કોંગ્રેસના ઉમેદવાર ભાજપને પરસેવો તો વાળી શકે છે
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
મનીષા વકીલ બે ટર્મથી અહીં ધારાસભ્ય છે અને ત્રીજી ટર્મ માટે પણ ભાજપે તેમની પસંદગી કરીને આશ્ચર્ય સર્જ્યું છે. પૂર્વ મેયર સુનિલ સોલંકી સહિતના દાવેદારો નારાજ થઈને હવે તેમનાં પ્રચારમાં ખાસ સક્રિય જણાતાં નથી. જોકે મનીષા વકીલનો જનસંપર્ક સારો છે. તેમનું કાર્યાલય નાગરિકોની ફરિયાદોના તરત જવાબ આપતું હોવાની છાપ પણ તેમને ત્રીજી ટર્મની ટીકિટ અપાવવામાં નિમિત્ત બની છે. આ બેઠક પર ત્રણ ટર્મ પછી સરસાઈમાં ઘટાડો થતો હોવાનો ઈતિહાસ રહ્યો છે. અગાઉ ભુપેન્દ્ર લાખાવાલા પણ ત્રીજી ટર્મ પછી રિપિટ થયા ન હતા.
હરીફ કોણ છે?
કોંગ્રેસે ગુણવંત પરમારને મેદાનમાં ઉતાર્યા હોવાથી ગત ચૂંટણીના પરાજીત ઉમેદવાર અનિલ પરમાર બળવાખોરીના મૂડમાં હતાં પરંતુ અપક્ષ ઉમેદવારી નોંધાવવાને બદલે પ્રચાર કાર્યથી વેગળા થઈ ગયા છે, જે ગુણવંત પરમારને નડી શકે છે. કોંગ્રેસ પાસે ભાજપની સરખામણીએ એવું અનુભવી સંગઠન કે બૂથ મેનેજમેન્ટ પણ નથી.
આ પણ વાંચો: #બેઠકપુરાણ માંજલપુર (વડોદરા): સોય ઝાટકીને ટીકિટ મેળવનારા યોગેશ પટેલ સરસાઈ પણ એવી મેળવી શકશે?
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટીના જિગર સોલંકી દલિત યુવા નેતા તરીકે યુવાનોમાં લોકપ્રિય છે પરંતુ તેમની વિશેષ ખાસ ઓળખ નથી. આમ છતાં તેઓ કોંગ્રેસના મત તોડે તેવી સ્થાનિકોમાં વ્યાપક ચર્ચા છે. એકંદરે આ બેઠક ભાજપના મનીષાબહેન હેટ્રીકનો આશાવાદ સેવતાં હોય તો એ સાવ અસ્થાને નહિ ગણાય.
Advertisement