પાલનપુર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનું છે. 14 જિલ્લાની 93 બેઠક પર બીજા તબક્કામાં મતદાન થવાનું છે તેમાં બનાસકાંઠાની થરાદ બેઠક પણ સામેલ છે. થરાદ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં છે. આમ આદમી પાર્ટી પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીએ વિરચંદભાઇ ચાવડાને ટિકિટ આપી છે.
Advertisement
Advertisement
શંકર ચૌધરી ભાજપના મોટા નેતા છે. સાથે જ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન છે. બનાસકાંઠાની રાધનપુર બેઠક પરથી તેમણે પ્રથમ વખત 1997માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિરૂદ્ધ 27 વર્ષની ઉંમરમાં વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. શંકર ચૌધરી વર્ષ 2014માં રાજ્ય સરકારમાં મંત્રી પણ બન્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ થરાદવાસીઓને શંકર ચૌધરીને જીતાડવાની અપીલ કરી હતી અને જનતાને કહ્યુ હતુ કે, તમે શંકર ચૌધરીને વિધાનસભામાં મોકલો અમે મોટા માણસ બનાવવાનું કામ કરીશું, શંકર ચૌધરી જો થરાદમાંથી ચૂંટણી જીતે છે તો તેમણે મંત્રી પદ મળી શકે છે.
શંકર ચૌધરીનો પરિવાર અને અભ્યાસ
શંકર ચૌધરીનો જન્મ 3 ડિસેમ્બર 1970માં રાધનપુર તાલુકાના વડનગરમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. લગધીરભાઇ ચૌધરી અને રત્નાબેન ચૌધરીના પુત્ર શંકર ચૌધરીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ વડનગરમાં જ લીધુ હતુ, આગળનો અભ્યાસ તેમણે રાધનપુરમાં પૂર્ણ કર્યો હતો. આ સિવાય તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં કોઓપરેટિવ મેનેજમેન્ટનો પણ અભ્યાસ કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: ઉત્તર ગુજરાત કોંગ્રેસનો ગઢ, 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપે કરવી પડે છે મહેનત
શંકર ચૌધરીની રાજકીય સફર
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર 2017 અને 2012 બન્ને ચૂંટણીમાં શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક બીજા સામે ચૂંટણી મેદાનમાં હતા. 2012માં ભાજપની ટિકિટ પર શંકર ચૌધરીને જીત મળી હતી. જ્યારે 2017માં શંકર ચૌધરી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી હારી ગયા હતા.
શંકર ચૌધરીએ પશુપાલકો માટે કર્યુ છે ઘણુ કામ
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો પશુપાલન પર નિર્ભર છે. મહિલાઓ આ કામમાં આગળ પડતી છે. પશુપાલનથી અહીના લોકોને કરોડો રૂપિયાની કમાણી થાય છે. ગુજરાતમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન બનાસડેરી કરે છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલક અને અહીના લોકો માટે ઘણુ કામ કર્યુ છે.
થરાદ બેઠકનું સમીકરણ
થરાદ વિધાનસભા મત વિસ્તારમાં 2 લાખ 8 હજાર 418 મતદાર છે. જેમાંથી એક લાખ 10 હજાર 622 પુરૂષ મતદાર જ્યારે 97 હજાર 795 મહિલા મતદાર છે. થરાદમાં ચૌધરી સમાજનું વર્ચસ્વ છે. 14 ટકા ઠાકોર મતદાર, 15 ટકા દલિત મતદાર છે. થરાદમાં કોઇ પણ પક્ષની હાર કે જીત નક્કી કરવા માટે ચૌધરી મત મહત્વની ભૂમિકા ભજવે છે.
થરાદ બેઠક 2008-09માં નવા સીમાંકનમાં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર 3 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે. બે વખત સામાન્ય ચૂંટણી તો એક વખત પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. 2012 અને 2017માં ભાજપના પરબત પટેલ અહીથી ચૂંટણી જીત્યા હતા. પરબત પટેલ સાંસદ બનતા આ બેઠક ખાલી પડી હતી અને પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત થઇ હતી.
Advertisement