ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ડીસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગીના મુદ્દે ભાજપ અને કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. તે પહેલા જ રાજ્યસભા સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીને તમામ પક્ષોને કહેવું પડ્યું છે કે, તેઓ દાગી ઉમેદવારોને ટિકિટ આપે નહીં.
Advertisement
Advertisement
ઉલ્લેખનિય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપે અનેક દાગી ઉમેદવારોને ટિકિટ આપી હતી જેમાંથી કુલ 47 દાગી ઉમેદાવારો ચૂંટણી જીતીને ધારાસભ્ય બની ગયા છે. હવે આ વખતે દાગી ઉમેદવારોની પસંદગીના મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું છે. તો સમાજમાં રહેલા પ્રતિષ્ઠિત અને મોટા હોદ્દા પર રહેલા લોકો પણ દાગી નેતાઓની પસંદગી ટાળવાનું કહી રહ્યાં છે.
પરિમલ નથવાણી જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિએ નિવેદન આપવું પડ્યું છે કે- “જામનગર શાંત-સલામત અને ઔદ્યોગિત ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરતું શહેર છે. વિકાસની અપાર શક્યતાઓ છે. જામનગર આંતરાષ્ટ્રીય સ્તરે ઝગમગવા થનગની રહ્યું છે. આ મહત્વપૂર્ણ સ્થિતિમાં શહેરને શ્રેષ્ઠ-શિક્ષત-સંસ્કારી સમજદાર નેતાગીરી મળવી જોઈએ.”
પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરતાં રાજકીય પક્ષોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે- “જામનગરને ગુંડાગીરીમાં હોમી દે તેવા ઉમેદવાર ન આપતા. નકારાત્મક અને ગુન્હાખોરીની વૃત્તિ અને ઇમેજ ધરાવતા ઉમેદવારોને કોઈપણ પક્ષે ટિકિટ આપવી જોઇએ નહીં. દરેક પક્ષોમાં સારા, તેજસ્વી, સકારાત્મક નેતાઓ ઘણા હોય છે. આવા નેતાઓને તક મળવી જોઈએ. જામનગરની શાંતિ સલામતી સમુધ્ધિ-વિકાસની ગતિ અવરોધે તેવા નેતાઓને ઉમેદવાર ન બનાવતા.”
પરિમલ નથવાણીની અપિલને જોતા ગુજરાતના બે મહત્વપૂર્ણ પક્ષ એટલે ભાજપ-કોંગ્રેસ દ્રારા દાગી ઉમેદવારોને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવાશે તો હાલના 45 જેટલા ધારાસભ્યોનો પત્તો તો આપોઆપ કપાઇ જશે.
સત્તા મેળવવા માટે રાજકીય પક્ષો પૈસાદાર, વગ ધરાવતો વ્યક્તિ, માથાભારે વ્યક્તિ, દબંગોને ટિકિટ આપીને પોતાની જીત સુનિશ્ચિત કરવા માંગે છે. ભાજપ-કોંગ્રેસ બંનેનો આવા દાગી નેતાઓને ટિકિટ આપવાનો ઇતિહાસ રહ્યો છે. ગુનાહિત વૃત્તિ ધરાવતા નેતા સમાજનું શું ભલુ કરી શકે છે તે અંગે કોઇ પણ પક્ષ વિચારતું નથી. રાજકીય પક્ષોને માત્રને માત્ર સત્તા જોઇએ છે. ભાજપ પાછલા 27 વર્ષથી ગુજરાત પર રાજ કરી રહી છે, તે પણ આવા દાગી ઉમેદવારોનો ઉપયોગ કરતી આવી છે.
બીજેપી દાગી નેતાઓનો સહારો લઇને પોતાની જીત સુનિશ્ચિત કરતી આવી છે. કોંગ્રેસ પણ અનેક સીટો પર દાગી નેતાઓને ટિકિટ આપીને જીત મેળવી ચૂકી છે. બંન્ને પક્ષોમાંથી એકપણ આ બાબતે દૂધે ધોયેલ નથી. પાવર, સત્તા, શક્તિ થકી લોકો પર રાજ કરવા માટે રાજકીય પક્ષો દબંગોને ટિકિટ આપે છે અને આવા લોકો શામ-દામ-દંડની રણનીતિ અપનાવીને જીતી પણ જાય છે.
પરિમલ નથવાણીની નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, આવા નેતાઓ ક્યારેય સમાજના વિકાસમાં કામ આવતા નથી. તેમની વૃત્તિ જ ગુનાહિત હોય છે, તેથી તેઓ આખા સમાજને જ ગુન્હાખોરીમાં હોમી દે છે. વિકાસની જગ્યાએ આવા નેતાઓ વિનાશ જ નોતરે છે. તેથી તો પરિમલ નાથવાણીને પણ કહેવું પડ્યું કે, જામનગરને આવા ગુનાહિત નેતાઓથી બક્ષી દેજો.
સ્વભાવિક છે કે, ક્રિમિનલ નેતાઓને સામાન્ય વ્યક્તિ તો પ્રશ્ન પણ પૂછવાની હિંમત કરી શકે નહીં. પરિમલ નથવાણી જેવા વ્યક્તિ જો આવા દાગી લોકોને નેતા ન બનાવવાની હાંકલ કરતાં હોય તો તે સમજવું રહ્યું કે, આવા લોકો નેતા બનીને કેટલા ખતરનાક બની જતા હશે. તેવામાં સામાન્ય વ્યક્તિ તેમના કવરેજ વિસ્તારમાંથી જ બહાર થઇ જાય છે. ક્રિમિનલ વૃત્તિ ધરાવતા લોકો માત્રને માત્ર પોતાના સ્વાર્થ માટે જ કામ કરે છે. તેમને સમાજ કે સામાન્ય વ્યક્તિ વિશે વિચારવાનો પણ સમય હોતો નથી.
જોકે, તે છતાં પણ સત્તા લાલચું પાર્ટીઓ આવા ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને ટિકિટ આપે છે. આ બાબતે બીજેપી પહેલા અને કોંગ્રેસ બીજા નંબર પર છે. આ રેસમાં બીટીપી પણ સામેલ છે. ડેડિયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા પર સૌથી વધારે 24 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.
એક સારી બાબત તે છે કે, આ વખતે સુપ્રીમ કોર્ટે પણ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને ટિકિટ ન આપવાની વાત કરી છે. તો ચૂંટણી પંચે પણ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને ટિકિટ આપતા પહેલા તેમની તમામ માહિતી સમાચાર પત્રમાં છાપવાનું કહ્યું છે. તેથી લોકોને ખ્યાલ આવી શકે કે, તેઓ જે વ્યક્તિને વોટ આપવા જઇ રહ્યાં છે, તે સમાજ માટે કેટલો ખતરનાક બની શકે છે.
ભાજપ-કોંગ્રેસના કેટલા ધારાસભ્ય સામે ગુના નોંધાયેલા છે ?
2017ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે જે દાગી ઉમેદવારોને ટિકિટ ફાળવી હતી તેઓએ પોતાની સામે કેટલા ગુના નોંધાયા તેની વિગોતો એફિડેવિટ કરીને ચૂંટણી પંચને આપી હતી. તે અમે અહીં દર્શાવી રહ્યાં છીએ.
ક્રમ ધારાસભ્યોનુ નામ બેઠક કેસની સંખ્યા
1 પ્રધ્યુમનસિંહ જાડેજા-ભાજપ અબડાસા 01
2 પ્રદિપ પરમાર- ભાજપ અસારવા 02
3 પરષોતમ સોલંકી- ભાજપ ભાવનગર ગ્રામ્ય 06
4 જીતુ વાઘાણી- ભાજપ ભાવનગર વેસ્ટ 04
5 ડો. નિમાબેન આચાર્ય – ભાજપ ભુજ 01
6 શૈલેષ સોટ્ટા- ભાજપ ડભોઈ 11
7 બાબુ જમનાદાસ પટેલ- ભાજપ દસક્રોઈ 04
8 શશીકાન્ત પંડ્યા- ભાજપ ડીસા 02
9 રાજેન્દ્રસિંહ ચાવડા- ભાજપ હિંમતનગર 01
10 ધર્મેન્દ્રસિંહ જાડેજા- ભાજપ જામનગર ઉત્તર 03
11 જયેશ રાદડીયા- ભાજપ જેતપુર 02
12 હર્ષ સંઘવી- ભાજપ મજૂરા-સુરત 03
13 અરવિંદ રૈયાણી- ભાજપ રાજકોટ પૂર્વ 01
14 રાજેન્દ્ર ત્રિવેદી- ભાજપ રાવપુરા-વડોદરા 01
15 કેતન ઈનામદાર- ભાજપ સાવલી-વડોદરા 03
16 જેઠ્ઠાભાઈ ભરવાડ- ભાજપ શેહરા 01
17 ગોવિંદ પરમાર- ભાજપ ઉમરેઠ 02
18 પ્રદિપસિંહ જાડેજા- ભાજપ વટવા 01
19 રાઘવજી પટેલ- ભાજપ જામનગર ગ્રામ્ય —–
20 કુંવરજી બાવળીયા- ભાજપ જસદણ-રાજકોટ 02
21 જવાહર ચાવડા- ભાજપ માણાવદર-જુનાગઢ 03
22 કાંધલ જાડેજા- NCP ભાજપના ચુસ્ત સમર્થક કુતિયાણા 11
23 કિરિટકુમાર પટેલ-કોંગ્રેસ પાટણ 12
24 ભાવેશ કટારીયા- કોંગ્રેસ ઝાલોદ 06
25 ભગવાન બારડ-કોંગ્રેસ તાલાલા 06
26 હર્ષદ રીબડીયા-કોંગ્રેસ વિસાવદર 01
27 નિરંજન પટેલ- કોંગ્રેસ આણંદ 04
28 અજીતસિંહ-કોંગ્રેસ બાલાસિનોર 01
29 વિરજી ઠુમ્મર-કોંગ્રેસ લાઠી 09
30 જિજ્ઞેશ મેવાણી-કોંગ્રેસ વડગામ 04
31 મંગળભાઈ ગાવિત-કોંગ્રેસ ડાંગ 03
32 ભીખાભાઈ જોશી-કોંગ્રેસ જૂનાગઢ 01
33 અશ્વિન કોટવાલ-કોંગ્રેસ, (હવે ભાજપમાં) ખેડબ્રહ્માં 01
33 મહમદ પિરઝાદા-કોંગ્રેસ વાંકાનેર 06
35 વિમલ ચુડાસમા- કોંગ્રેસ સોમનાથ 02
36 હિંમતસિહ પટેલ- કોંગ્રેસ બાપુનગર 02
37 જીતુ ચૌધરી-કોંગ્રેસ કપરાડા 01
38 પરેશ ધાનાણી-કોંગ્રેસ અમરેલી 04
39 લલીતકુમાર વસોયા-કોંગ્રેસ ધોરાજી 02
40 રાજેન્દ્રસિંહ ઠાકોર-કોંગ્રેસ મોડાસા 01
41 અમરીશ ડેર-કોંગ્રેસ રાજુલા 01
42 વિક્રમ માડમ-કોંગ્રેસ જામ ખંભાળીયા 01
43 પુનમ પરમાર-કોંગ્રેસ સોજીત્રા 01
43 કનુભાઈ માથુરામ- કોંગ્રેસ તળાજા 01
45 અનંતકુમાર પટેલ-કોંગ્રેસ વાંસદા 01
Advertisement