જયપુર: રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ઘર્ષણ વચ્ચે મુખ્યમંત્રી પદ પર સચિન પાયલોટની સંભવિત તાજપોષીને લઇને પાર્ટીના ધારાસભ્ય અને મંત્રીઓનો અસંતોષ ખુલીને સામે આવ્યો છે. પાર્ટી હાઇકમાને નક્કી કરી લીધુ છે કે વર્તમાન સીએમ અશોક ગહેલોતના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની સ્થિતિમાં તેમની જગ્યાએ સચિન પાયલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જેની પર રાજ્યમાં ખેચતાણ ચાલુ થઇ ગઇ છે. આ વચ્ચે સીપી જોશીને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે ગહેલોત સમર્થક ધારાસભ્ય સચિન પાયલોટના નેતૃત્વમાં કામ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે, જે બાદ સીએમ ગહેલોતે મુખ્યમંત્રી પદ માટે રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીના નામની ભલામણ કરી છે. જોકે, જોશી અને ગહેલોત વચ્ચે કડવાશભર્યા સબંધ હતા પરંતુ જૂન 2020માં જોશી દ્વારા ગહેલોતની સરકાર બચાવવામાં મદદ કર્યા બાદ બન્ને નેતાઓ વચ્ચે આ ખટરાગ દૂર થયો છે.
ચાર વખત કેન્દ્રમાં રહી ચુક્યા છે મંત્રી
મુખ્યમંત્રી પદના દાવેદાર સીપી જોશી અશોક ગહેલોત બાદ રાજસ્થાન કોંગ્રેસના સૌથી અનુભવી નેતા છે, તેમણે સંગઠનનો લાંબો અનુભવ છે. બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા સીપી જોશીની રાજ્યના આ સમુદાય પર સારી પકડ છે. સીપી જોશી 2008 વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક મતથી ચૂંટણી હારી ગયા હતા અને મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા હતા.
ચાર વખત કેન્દ્રમાં મંત્રી રહી ચુકેલા સીપી જોશી રાહુલ ગાંધીની નજીક પણ ગણાય છે. સીપી જોશી રાજસ્થાન સરકારમાં મંત્રીના રૂપમાં કામ કર્યુ છે અને UPA-2 સરકારમાં કેબિનેટ મંત્રી હતા. 2018માં પાયલોટના બળવા દરમિયાન જોશીએ અશોક ગહેલોતની સરકાર બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
29 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત બન્યા ધારાસભ્ય
રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કુંવરિયામાં જન્મેલા સીપી જોશીએ મનોવિજ્ઞાનમાં ડૉક્ટરેટ સાથે લૉની ડિગ્રી મેળવી છે. રાજનીતિમાં આવ્યા પહેલા લેક્ચરરની નોકરી કરતા હતા. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી મોહનલાલ સુખાડિયાએ તેમણે પોતાના ચૂંટણી અભિયાન માટે કામ પર રાખ્યા હતા. તે ચૂંટણીમાં પોતાની જીતથી ખુશ થઇને સુખડિયાએ 1980માં સીપી જોશીને ટિકિટ આપી હતી. સીપી જોશી જ્યારે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા તે સમયે તેમની ઉંમર માત્ર 29 વર્ષ હતી. વર્ષ 2008માં, સીપી જોશીને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
માત્ર એક મતથી હારી ગયા હતા ચૂંટણી
એવુ માનવામાં આવે છે કે 2008માં ગહેલોતે ગુપ્ત રીતે સીપી જોશી વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો, જે બાદ તે નાથદ્વારા બેઠક પરથી એક મતથી ચૂંટણી હારી ગયા હતા અને મુખ્યમંત્રી બની શક્યા નહતા. આ ચૂંટણીમાં તેમની પત્નીએ મત આપ્યો નહતો. બાદમાં મીડિયા સાથે વાત કરતા સીપી જોશીએ કહ્યુ હતુ, “હાં, આ સાચુ છે કે મારી પત્ની અને દીકરી વોટિંગના દિવસે મંદિર ગયા હતા, જેને કારણે તે મતદાન કરી શક્યા નહતા.”
Advertisement