ગાંધીનગરઃ PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તા.૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.૫ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી હોવાનું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે આયુષ્માન યોજના શરૂ કરાઈ હતી. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.
Advertisement
Advertisement
રાજ્યમાં ૧.૭૮ કરોડ આયુષ્માન કાર્ડ ધારકો
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. તેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં એટલે કે ૧.૭૮ કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થયું છે. હાલ ૨૦૪૫ સરકારી અને ૭૯૫ ખાનગી મળી કુલ ૨૮૪૦ જેટલી હોસ્પિટલ આયુષ્માન કાર્ડ અંતર્ગત એમ્પેનલ્ડ છે અને નિયત કરેલ પ્રોસિજરોની સેવા નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે. રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમ વર્ગીય પરિવાર અચાનક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભ આપવાનું આયોજન હાથ ધર્યું છે.
દેશમાં બીજા ક્રમાંકે ગુજરાત
મંત્રીએ ઉમેર્યુ કે, આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીના કિસ્સામાં ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ થી તા. ૨૬.૦૬.૨૩ સુધી અંદાજે ૩૯ લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે છે. જ્યારે અત્યાર સુધીમાં દાવાઓની રકમની દ્રષ્ટિએ રૂ. ૮,૦૮૧ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. પ્રવર્તમાન વર્ષમાં રૂ.૨૮૦૦ કરોડની રકમના ક્લેમ (દાવા)ની નોંધણી થઈ છે. તે આગામી વર્ષમાં અંદાજે રૂ.૩૫૦૦ કરોડ થવાનો અંદાજ છે.
Advertisement