ગાંધીનગર: ચક્રવાતી તોફાન ગુજરાતમાં ત્રાટકીને આગળ વધી ગયું છે. પરંતુ આ ચક્રવાતની અસર ગુજરાતમાં હજુ પણ જોવા મળી રહી છે. મોરબીમાં ભારે પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત કચ્છ અને દ્વારકામાં પણ ઝડપી પવન સાથે વરસાદ પડી રહ્યો છે. મોરબીમાં ભારે વરસાદ બાદ મચ્છુ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. મુશળધાર વરસાદના કારણે માળિયાના 19 ગામોને એલર્ટ કરાયા છે.
Advertisement
Advertisement
ચક્રવાત બિપોરજોય કચ્છના જખૌ બંદર પાસે લેન્ડફોલ કર્યા પછી 40 કિમી ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. 171 તાલુકાઓમાં વરસાદ પડ્યો, કેટલાંક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે વૃક્ષો ઉખડી ગયા અને કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વાવાઝોડાને કારણે કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
હજુ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ચક્રવાત બિપરજોયની અસર હજુ પણ જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલી અને મોરબી સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
જામનગર જિલ્લા કલેક્ટર બી.એ.શાહના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય બાદ વહીવટીતંત્ર દ્વારા પડી ગયેલા વૃક્ષોને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે. જામનગર તાલુકામાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં 119 મીમી અને અન્ય તાલુકાઓમાં 30 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. છેલ્લાં 24 કલાકમાં કોઈ જાનહાનિની માહિતી નથી, પરંતુ ત્રણ લોકો ઘાયલ થયા અને ચાર પશુના મોત થયા હોવાની માહિતી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ચક્રવાતની તીવ્રતા ઘટી છે. જેના કારણે કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. દ્વારકા, જામનગર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આવતીકાલે કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
Advertisement