વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહેલી મુસાફરોની એક મીનીબસનો રાજપીપળા નજીક ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે 14 મુસાફરો ઘાયલ થયા તમામને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર પોલીસની ટીમ દોડી આવી હતી.
સુરતથી જીજે 27 એકસ 8800 નંબરની મીનીબસ મુસાફરોને લઈને કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવા નીકળી હતી.દરમિયાન નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાનાં કરજણ બ્રિજનાં સામેના છેડે ઉભેલી ટ્રક નંબર એમએચ 18 બીજી 4267 માં પુરપાટ ઝડપે આવી રહેલી મીનીબસ પાછળથી ઘુસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મીની બસની ડ્રાઈવર સાઈડનાં ભુક્કા બોલી ગયા હતા.જ્યારે ધડાકાભેર અથડાયેલી આ બસમાં બેઠેલા લોકો પૈકી 14 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં બસનાં ચાલકને વધુ ગંભીર ઇજા હોવાનું જાણવા મળ્યું છે.
જોકે જાણવા મળ્યા મુજબ આ બસમાં આવતા લોકો સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતા જ રાજપીપળા ટાઉન પીઆઈ ચૌધરી સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા બાદ ટ્રાફિક હળવો કરવા ક્રેન બોલાવી ટ્રક અને બસને ત્યાંથી હટાવવા કાર્યવાહી કરી હતી.રાજપીપળા સિવિલમાં સારવાર હેઠળ રખાયેલા 14 દર્દીઓ પૈકી એક ચીત્રાંગ દેસાઈ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement