વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2023-24 માટેનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.નાણા મંત્રી કનુભાઇ દેસાઈએ આ બજેટમાં સરદાર સરોવર યોજના, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરના વિકાસને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.આ બજેટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતા નગરના વિકાસ માટે બજેટમાં 565 કરોડ અને સરદાર સરોવર યોજના માટે 5950 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વિવિધ આકર્ષણો સાથે પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે.આદિજાતી સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનો સરકારનુ આયોજન છે.આગામી સમયમાં એકતા નગર ખાતે વિશ્વ કક્ષાની ડ્રાઈવ ઈન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝીયમ સ્થાપવામાં આવશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગરની નજીક આવતા ગામોમાં પીવાના પાણી,ગટર વ્યવસ્થા, રોડ રસ્તાની તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી માળખાકીય સુવિધાઓ વિકસાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે 10 કરોડ રૂપિયાની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.એકતા નગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાનું પણ આયોજન જશે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના માટે 5950 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. જે પૈકી કચ્છ શાખા નહેરોના બાકી કામ માટે 1082 કરોડ રૂપિયા, કચ્છ તેમજ સૌરાષ્ટ્ર શાખા નહેરોના પંપીંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે 675 કરોડ રૂપિયા, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તથા કેનાલ ઓટોમેશન તેમજ જાળવણી માટે 178 કરોડ રૂપિયા, નર્મદા કમાંડ વિસ્તારમાં સિંચાઈના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી મહત્તમ પાક ઉત્પાદન મળે તે હેતુથી તાલીમ, નિદર્શન, ખેડુત શિબિર, જમીનની ચકાસણી વગેરે કૃષિલક્ષી પ્રવૃત્તિઓ માટે 100 કરોડ રૂપિયાની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.ગરુડેશ્વર વિયર ડેમ તેમજ વિવિધ શાખા નહેરો પર વીજ મથકની સ્થાપના, જાળવણી તેમજ મરામત માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Advertisement