ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધુને વધુ તંગ બની રહ્યા છે. ખાલિસ્તાની સમર્થકો ભારતને ઉશ્કેરવા માટે દરરોજ વાહિયાત કૃત્યો કરી રહ્યા છે. દરમિયાન, કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કેનેડામાં ખાલિસ્તાની તત્વો દ્વારા કરાયેલા દેખાવોની ટીકા કરી હતી. આ તત્ત્વો દ્વારા પીએમ મોદીના પોસ્ટરો અને કટઆઉટને કચડી નાખવામાં આવ્યા હતા અને ભારતીય રાષ્ટ્રધ્વજને આગ લગાડી દેવામાં આવી હતી.
Advertisement
Advertisement
તાત્કાલિક કાર્યવાહીની ચૌધરીની માંગ
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભારત વિરોધી ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કોઈપણ વિલંબ કર્યા વિના જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું કે હું કેનેડામાં ખાલિસ્તાની તત્વોના ધિક્કારપાત્ર કૃત્યની સખત નિંદા કરું છું જેમણે આપણા વડાપ્રધાન મોદીના કટઆઉટ અને પોસ્ટરોને લાત મારવાની અને ભારતના રાષ્ટ્રધ્વજને આગ લગાડવાની હિંમત કરી. ભારત સરકારે ભારત વિરોધી આતંકવાદીઓ સામે જરૂરી પગલાં લેવા જોઈએ.
ખાલિસ્તાન સમર્થકોએ ત્રિરંગાને આગ ચાંપી હતી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેનેડાના ટોરન્ટોમાં 100 ખાલિસ્તાનીઓએ ભારતના ત્રિરંગા ધ્વજને સળગાવી દીધો હતો. એટલું જ નહીં, ઘણાં હિન્દુ પરિવારો ખાલિસ્તાનીઓના ડર હેઠળ જીવી રહ્યા છે. આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરુપતવંત સિંહ પન્નુને કેનેડામાં રહેતા હિન્દુ પરિવારોને દેશ છોડી દેવાની ચેતવણી આપી છે. બીજી તરફ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર એકસોથી વધુ ખાલિસ્તાનીઓએ દેખાવો કર્યા હતા.
ભારત અને કેનેડા વચ્ચે કેવી રીતે વિવાદ વધ્યો ?
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની જૂનમાં હત્યા કરી દેવામાં આવી હતી. ગયા અઠવાડિયે પીએમ ટ્રુડોએ કેનેડાની સંસદમાં દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમણે ત્યાંની સંસદમાં કહ્યું કે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે તેના અમને પુરાવા મળ્યા છે. ત્યાર બાદ ભારતે કેનેડા પાસે પુરાવા માંગ્યા હતા, પરંતુ કેનેડાએ હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી જેના કારણે તેની ચોતરફ ટીકા થઈ રહી છે. પરંતુ કેનેડાના પીએમના આ નિવેદનને કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
Advertisement