દિલ્હી: લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. લોકસભામાં કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે છેલ્લો દિવસ છે. વિપક્ષના સાંસદો મોદી સરકાર પર એક પછી એક આરોપ લગાવી રહ્યા છે. સાથે જ કેન્દ્રીય મંત્રી પણ વિપક્ષી સાંસદોના આરોપો પર પલટવાર કરી રહ્યા છે.
Advertisement
Advertisement
અવિશ્વાસ પ્રસ્તાવ પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નિવેદન વચ્ચે વિપક્ષના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે દેશની જનતાએ તેમને બહારનો રસ્તો બતાવ્યો છે, હવે તેઓ લોકસભામાંથી પણ બહાર જઈ રહ્યા છે. આ સિવાય તેમણે કહ્યું કે હું 20 વર્ષથી આ સંસદમાં છું પરંતુ બે દાયકામાં મેં આવું દ્રશ્ય જોયું નથી. વિપક્ષ દ્વારા વડાપ્રધાન પ્રત્યે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, હું માનું છું કે ગૃહની સામે નહીં પરંતુ દેશની જનતાની સામે માફી માગવી જોઈએ.
આ પ્રસંગે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ગઈકાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન મણિપુરને ભારતનો ભાગ માનતા નથી. હું જણાવવા માંગુ છું કે વડાપ્રધાને ઉત્તર-પૂર્વને વિશ્વ સાથે જોડવાનું કામ કર્યું છે. ભારતને જુદા જુદા ટુકડાઓમાં જોવાની વિચારધારા તમારી છે, અમારી નથી.
કોંગ્રેસ પર પ્રહાર કરતા સિંધિયાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના લોકો કહે છે કે નફરતને બદલે પ્રેમની દુકાન લાવશે. તેમની દુકાન ભ્રષ્ટાચાર, અસત્ય, તુષ્ટિકરણ, ઘમંડની દુકાન છે. તેઓ માત્ર દુકાનનું નામ બદલી નાખે છે પરંતુ સામાન એનો એ જ રહે છે. તેઓ મણિપુરની ઘટનાનો દુરુપયોગ કરીને પોતાનું લોન્ચપેડ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. મણિપુરમાં જે પણ થઈ રહ્યું છે તે નિંદનીય છે. ઉત્તર-પૂર્વમાં તમામ સમસ્યાઓ કોંગ્રેસના તુષ્ટિકરણને કારણે શરૂ થઈ છે. ઉત્તર-પૂર્વમાં, વિદેશીઓને અંદર (ભારતમાં) લઈ જઈને તેમના પોતાના ફાયદા માટે નાગરિકતા અને આશ્રય આપવાનું કામ થયું હતું.
Advertisement