શિવસેના (ઉદ્ધવ)એ શુક્રવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શિવસેના (UBT)એ તેના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં લખ્યું છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સૂર્ય પર મિશન મોકલી શકે છે, પરંતુ સરકારે પહેલાં દેશમાં ડુંગળીના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીંતર 2024ની લોકસભા ચૂંટણીમાં સરકારનો પત્તો પણ નહીં લાગે. શિવસેના (UBT) એ ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લાદવાના સરકારના નિર્ણયની ટીકા કરી હતી.
Advertisement
Advertisement
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના નાસિક, અહમદનગર અને પુણે જિલ્લામાં મોટા પાયે ડુંગળીની ખેતી થાય છે. આ જ કારણે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર એક્સપોર્ટ ડ્યૂટી લગાવવાના મુદ્દે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
શિવસેનાએ કેન્દ્ર પર કટાક્ષ કર્યો
શિવસેનાના મુખપત્રમાં તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે, ‘દેશના લોકોને ચંદ્ર મિશન, સૂર્ય મિશન અને શુક્ર મિશન જેવા નવા મિશનોમાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યાં છે. મિશન સૂર્ય વગેરે બધું ઠીક છે પરંતુ સૌથી જરૂરી તો દેશમાં ડુંગળીનો મુદ્દો ઉકેલવામાં આવે તે છે. તમે સૂર્ય પર મિશન મોકલો પણ તે પહેલાં તમારે ડુંગળીનો પ્રશ્ન ઉકેલવો જોઈએ નહીંતર તમારું મિશન 2024 ખોરવાઈ જશે અને તમને ખબર પણ નહીં પડે.’
ઈસરોના ચંદ્રયાન-3 મિશને ઈતિહાસ રચ્યો
ભારતના ચંદ્રયાન-3 મિશને બુધવારે જ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. આ ઐતિહાસિક સફળતા બાદ આખો દેશ તેનાથી ખુશ છે અને ભારતની પ્રતિભાનો આખી દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. શિવસેનાનું તાજેતરનું નિવેદન પણ આ સંદર્ભમાં જ સામે આવ્યું છે.
Advertisement