મુંબઈ : એનસીપીના સર્વોચ્ચ નેતા શરદ પવારે મહાવિકાસ આઘાડી આજે છે પરંતુ આવતીકાલે શું થાય તે કહી શકાય તેમ નહિ એમ કહી 2024ની લોકસભા તથા રાજ્ય વિધાનસભા ચૂંટણી સંયુક્ત રીતે લડવાથી હાથ અદ્ધર કરી લેતાં મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ મચી ગયું હતું. દિવસભર રાજકીય નિવેદનો અને પ્રતિ નિવેદનોનો મારો ચાલ્યાા બાદ સાંજે પવારે એમ કહીને ફેરવી તોળવાનો પ્રયાસ કર્યો હતો કે પોતાના નિવેદનને વધારે પડતું ચગાવી દેવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
જોકે, શરદ પવારના ભત્રીજા અજીત પવાર ભાજપમાં ભળી રહ્યા છે તેવી અફવાઓ અને છેલ્લા કેટલાક સમયથી અજીત પવાર અને શિવસેના-યુબીટીના નેતાઓ વચ્ચે સામસાલે ચાલી રહેલાં વાગ્યુદ્ધને પગલે આઘાડીમાં ભંગાણનાં ભણકારાની ચર્ચાઓને પવારનાં આ નિવેદનથી બળ મળ્યું છે.
પવારે રવિવારે સાંજે અમરાવતીમાં એમ કહ્યું હતું કે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના-યુબીટી( ઉદ્ધવ જૂથ) 2024ની લોકસભા ચૂંટણી તથા તે જ વર્ષના અંતમાં નિર્ધારિત રાજ્ય વિધાનસભા ચૂંટણી સાથે જ લડશે કે કેમ તે અત્યારથી કહી શકાય નહિ. પવારે કહ્યું હતું કે આઘાડી આજે છે પરંતુ આવતીકાલનું કશું કહેવાય નહિ.
તેમણે કહ્યું અમે સાથે રહેવા માગીએ છીએ પણ દર વખતે માત્ર ઈચ્છા હોય એ પર્યાપ્ત હોતું નથી. અમારે કેટલાય વિવાદો ઉકેલવાના બાકી છે અને બેઠક સમજૂતી પણ બહુ મોટો મુદ્દો બની શકે તેમ છે. અમે તેમાંની કોઈ બાબતે કોઈ પ્રકારની ચર્ચા હજુ સુધી કરી શકી નથી. એટલે અમે આ ચૂંટણીઓ સાથે મળીને લડશું કે કેમ તે હું અત્યારે કહી શકું નહિ.
પવારના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. શિવસેના-યુબીટીના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી મૂળભૂત રીતે એનસીપી એટલે કે શરદ પવારનું સર્જન છે અને તેઓ આઘાડી એકતા બાબતે આવું અનિશ્ચિત વલણ અપનાવે તેવું હું માનતો નથી.
રાઉતે કહ્યું હતું કે પવાર શરુઆતથી એવું માનતા રહ્યા છે કે જો 2024ની ચૂંટણી તમામ વિપક્ષો સાથે મળીને લડે તો ભાજપને હરાવી શકાય તેમ છે. મારી આજે સવારે જ તેમના સાથે વાત થઈ છે અને તેના પરથી મને લાગ્યું નથી કે તેઓ આઘાડી એકતા બાબતે કોઈ સંશય ધરાવતા હોય.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે પવાર બહુ અનુભવી નેતા છે અને તેમના નિવેદન પરથી એ પારખી શકાય છે કે તેઓ શું ઈચ્છે છે. ભાજપના મહારાષ્ટ્રના પ્રમુખ ચન્દ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીના નેતાઓ તથા સામાન્ય પ્રજાના મનમાં પણ આ આઘાડી એકતા કેટલી ચાલશે તે વિશે સંશય પ્રવર્તે છે એ પવારનાં નિવેદન પરથી સ્પષ્ટ થઈ ગયું છે.
આ પહેલાં પવારે અજીત પવાર ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અફવાઓ અંગે કહ્યું હતું કે જો કોઈ એનસીપીમાં ભંગાણ પડાવવાનો પ્રયાસ કરશે તો એનસીપી તેનો બહુ કડક જવાબ આપશે. જોકે, એનસીપી અત્યાર સુધી અજીત પવાર ભાજપમાં જોડાઈ રહ્યાની અફવાને સતત નકારતી રહી છે.
Advertisement