રાજસ્થાનમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ તેમના પ્રાદેશિક સંગઠનની રૂપરેખાને આખરી ઓપ આપી રહ્યા છે. તેઓ 11 જૂને પોતાના નવા પક્ષની જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ તેમની નવી પાર્ટીનું નામ પ્રોગ્રેસિવ કોંગ્રેસ હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ સતત બળવો કરી રહેલા પાયલોટ રવિવારે (11 જૂન, 2023) પોતાની પાર્ટીની જાહેરાત કરી શકે છે. પાયલોટ પોતાની પાર્ટીની શરૂઆત પહેલા ઔપચારિક તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે.
Advertisement
Advertisement
સોમવારે પાર્ટીની જાહેરાત પહેલા સચિન પાયલટ રાજ્યસભા સાંસદ વિવેક ટંખા સાથે મા શારદાના આશીર્વાદ લેવા તેઓ સતના જિલ્લાના મૈહર મંદિરે પહોંચ્યા હતા. પાયલોટના નજીકના સૂત્રોએ જણાવ્યું કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી જયપુરમાં રેલીનું આયોજન કરીને કોંગ્રેસમાંથી વિદાય લેવાની અને પોતાની નવી પાર્ટીની જાહેરાત કરે તેવી શક્યતા છે. પરંતુ પાયલોટ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
કેટલા ધારાસભ્યોનું પાયલોટને સમર્થન ?
પાયલોટ કોંગ્રેસ છોડીને નવો પક્ષ બનાવવાના સંભવિત રાજકીય માહોલ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. પાયલોટની સાથે તેમના સમર્થક ધારાસભ્યોમાંથી કેટલા કોંગ્રેસ છોડીને તેમની પાર્ટીમાં જોડાય છે તેના પર સૌની નજર છે. એટલું જ નહીં, તે આવું કરે અને તેમના સમર્થક ધારાસભ્યો તેમની સાથે જોડાય, તો ગેહલોત સરકાર પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાવા લાગશે.
રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ભાજપે સત્તા મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના નેતાઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. બીજી તરફ સત્તાધારી કોંગ્રેસ પણ ચૂંટણીની તૈયારીઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી રહી છે. કોંગ્રેસે ગેહલોત અને પાયલોટ વચ્ચે ચાલી રહેલી લડાઈનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં, બંને નેતાઓ પાર્ટી અધ્યક્ષ ખડગેને અલગ-અલગ મળ્યા હતા અને સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે જો તેઓ નવી પાર્ટીની જાહેરાત કરશે તો કોંગ્રેસની મુશ્કેલીઓ વધી જશે.
Advertisement