દિલ્હી: મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓની કપડાં વગર નગ્ન પરેડ કરાવવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં રોષનો માહોલ છે. આ વીડિયો સામે આવ્યા બાદ સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. વિપક્ષે આ મુદ્દે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો, જેના કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
Advertisement
Advertisement
મણિપુર મુદ્દે સંસદમાં હોબાળો
ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ મણિપુર મુદ્દે હંગામો શરૂ કર્યો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ સાથે રાજ્યસભાની કાર્યવાહી પણ બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના સાંસદે રજૂ કર્યો પ્રસ્તાવ
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર સંસદમાં ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો છે. કોઈ મુદ્દા પર ધ્યાન દોરવા અને જાહેર હિતના મુદ્દા પર તાત્કાલિક ચર્ચા કરવા માટે સ્થગન દરખાસ્ત લાવવામાં આવે છે. આ પ્રસ્તાવ રજૂ કરવા માટે સંસદના 50 સભ્યોનું સમર્થન જરૂરી હોય છે.
રાજકારણ ગરમાયું
આ બાબતે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આજે ગૃહની કાર્યવાહી અને બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકમાં વિપક્ષનું વલણ જોઈને સ્પષ્ટ થાય છે કે તેઓ તેઓ ગૃહની કાર્યવાહી ચાલવા નહીં દે તેવું નક્કી કરીને આવ્યા હતા. કદાચ તેઓ પરેશાન છે કે પશ્ચિમ બંગાળમાં જે રીતે હિંસક ઘટનાઓ બની છે અને છત્તીસગઢ તથા રાજસ્થાનમાં મહિલા શક્તિની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે તેવામાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમે મણિપુરની ઘટનાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ. તે છતાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ ગૃહની કાર્યવાહી અટકાવી છે, તે સ્પષ્ટ કરે છે કે વિપક્ષ ગૃહની કાર્યવાહી ચાલવા દેવા માંગતો નથી.
બીજી તરફ રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે આ મામલે કહ્યું કે વડાપ્રધાને મણિપુરની ઘટના અંગે મૌન તોડ્યું જે સારી વાત છે, પરંતુ મણિપુરમાં અત્યાર સુધી જે કંઈ થયું, લૂંટફાટ થઈ, મણિપુર સળગ્યું, આટલી તોડફોડ થઈ, ત્યારે વડાપ્રધાને મૌન કેમ સેવ્યું હતું ? ગૃહમંત્રી કેમ ચૂપ હતા ? આ ઘટના પર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ વડાપ્રધાને પોતાનું નિવેદન આપ્યું કે તેઓ પહેલા કેમ ચૂપ હતા. તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આપણા દેશમાં આવી ઘટનાઓ બને તે શરમજનક બાબત છે.
આ ઘટના અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે બે મહિના પછી વડાપ્રધાનને સમજાયું કે ત્યાં કુકી સમુદાયના લોકોનો નરસંહાર થઈ રહ્યો છે. તેમણે મજબૂરીમાં પ્રતિક્રિયા આપી છે, કારણ કે વીડિયો આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યો છે કે કેવી રીતે ત્યાંની મહિલાઓને પોલીસ કસ્ટડીમાંથી બહાર કાઢીને તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું.
Advertisement