દિલ્હીઃ સંસદના બંને ગૃહોમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આજે સંસદની કાર્યવાહી શરૂ થયા પહેલા રાજસ્થાનના ભાજપના સાંસદો સહિત વરિષ્ઠ નેતાઓએ સીએમ અશોક ગેહલોત સરકાર સામે વિરોધ દેખાવો કર્યા હતા. આ સાથે જ વિપક્ષી દળોએ મણિપુર મુદ્દાને લઈને સંસદ સંકુલમાં સંયુક્ત પ્રદર્શન કર્યું. પરંતુ ગૃહની અંદર વિપક્ષના હોબાળા બાદ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
Advertisement
Advertisement
બંને ગૃહોમાં વિપક્ષ તરફથી ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયો.
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, ત્યારપછી ફરી શરૂ થતાં જ રાજ્યસભા અને લોકસભા બંનેમાં વિપક્ષી સાંસદોએ મણિપુર અંગે વડાપ્રધાનના નિવેદનની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
સરકાર ચર્ચા માટે તૈયાર
સરકાર આ સત્રમાં મહત્વના કુલ 31 બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે ત્યારે વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવી પડી રહી છે. આવી સ્થિતિમાં ગૃહમાં હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. જો કે સરકારનું કહેવું છે કે તે ચર્ચા માટે તૈયાર છે.
શાસક પક્ષે શું કહ્યું?
આ મામલા વિશે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે મણિપુરના વાયરલ વીડિયો પર આખો દેશ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. અમે હાથ જોડીને કહીએ છીએ કે તમે (વિપક્ષ) આ મુદ્દા પર ચર્ચા કરો અને આપણે તેમાંથી કેટલાક તારણો કાઢીશું. અમે સમજી શકતા નથી કે તેઓ (વિપક્ષ) ચર્ચા કરવાથી દૂર કેમ ભાગી રહ્યા છે. તેમની વિચારસરણી શું છે, તે સમજાતું નથી. આજે પણ અમારી માંગ છે કે તમે આ અંગે ચર્ચા કરો. આ ખૂબ જ સંવેદનશીલ મામલો છે.
કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અમે તેમને (વિપક્ષોને) વારંવાર કહી રહ્યા છીએ કે તમારી ચર્ચાનો સૌથી મોટો વિષય મણિપુર છે. વિપક્ષે વિનંતી કરી હતી કે તમે ચર્ચા સ્વીકારો, સત્ર ચાલશે. અમે ઈચ્છીએ છીએ કે મણિપુર પર ચર્ચા થવી જોઈએ, અમારા સાંસદોએ કહ્યું કે મણિપુરની સાથે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સ્થિતિ પર પણ ચર્ચા થવી જોઈએ,.
રાજકીય નિવેદનબાજી ઉગ્ર બની
આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આખા દેશની માંગ છે કે સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર મુદ્દે પોતાની વાત રજૂ કરે. દેશમાં શાંતિ સ્થાપવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આજે અમે આ મુદ્દે સંસદમાં વિરોધ પ્રદર્શન કરવાના છીએ. રાજ્યસભાના અધ્યક્ષે અમને મણિપુર મુદ્દા પર ચર્ચા કરવાની મંજૂરી આપવી જોઈએ.
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિયાકાર્જુન ખડગેના જણાવ્યા અનુસાર અમે પણ ચર્ચા માટે તૈયાર છીએ. વડાપ્રધાને આ બાબતે પોતાની વાત રજૂ કરવી જોઈએ. 140 કરોડ લોકોના નેતા બહાર પ્રેસ સાથે વાત કરે છે અને 140 કરોડ લોકોના પ્રતિનિધિઓ અંદર બેઠા છે તો તમારે (વડાપ્રધાન) પહેલા તમારું નિવેદન અંદર આપવું જોઈએ. ત્યાર બાદ અમે એક નિર્ણય લઈશું.
મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે મને લાગે છે કે આ મુદ્દાને (મણિપુર) વડાપ્રધાન ગૃહમાં હાજરી આપીને સરળતાથી ઉકેલી શકે છે જેના તેઓ પોતે સભ્ય છે અને તેઓ તેના પ્રત્યે જવાબદાર છે. અમે એક એવી સ્થિતિ જોઈ રહ્યા છીએ જે એટલી મહત્વપૂર્ણ કે સરકારના ચીફ એક્ઝિક્યુટિવથી નીચેના સ્તરની કોઈપણ વ્યક્તિ શરૂઆતમાં બોલી શકશે નહીં. ગૃહમંત્રી અને અન્ય લોકો તેમની ભૂમિકા ભજવી શકે છે, મને ખાતરી છે. પરંતુ વડા પ્રધાને સંસદની બહાર મીડિયા સાથે વાત કરવાનું યોગ્ય માન્યું, જ્યારે સત્ર ચાલી રહ્યું હોય ત્યારે તે સ્વીકાર્ય નથી.
Advertisement