કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠકના બીજા દિવસે આ નિવેદન આપ્યું છે. ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથી. પીટીઆઈ અનુસાર, વિપક્ષી દળની બેઠકના બીજા દિવસે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તા કે વડાપ્રધાન પદમાં કોઈ રસ નથી. આ નિવેદન બાદ રાહુલ ગાંધી પીએમ પદની રેસમાં હોવાની અટકળોને મોટો ફટકો પડ્યો છે.
Advertisement
Advertisement
સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેઠકમાં કહ્યું કે અમે અહીં 26 પક્ષો છીએ. અમારા સૌની મળીને 11 રાજ્યોમાં સરકારમાં છીએ. ભાજપને એકલા હાથે 303 બેઠકો મળી નથી. ભાજપે તેના સાથીઓના મતનો ઉપયોગ કર્યો અને સત્તા પર આવ્યો છે અને પછી ભાજપે તેમને છોડી દીધા. આજે બીજેપી અધ્યક્ષ અને તેમના નેતાઓ જૂના સાથીઓ સાથે સમાધાન કરવા માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં દોડાદોડી કરી રહ્યા છે.
બેંગલુરુમાં સંયુક્ત વિપક્ષની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુને વધુમાં કહ્યું કે અમે જાણીએ છીએ કે રાજ્ય સ્તરે અમારી વચ્ચે કેટલાક મતભેદો છે. આ મતભેદો વૈચારિક નથી. આ તફાવતો એટલા મોટા નથી કે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ, યુવાનો, ગરીબો, દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓ માટે અમે તેને છોડી ન શકીએ. આ લોકોના અધિકારોને પડદા પાછળ ચૂપચાપ કચડી નાંખવામાં આવી રહ્યા છે.
બેઠકમાં આ દિગ્ગજ નેતાએ ભાગ લીધો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુપીએ ચીફ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, પીડીપી વડા મહેબૂબા મુફ્તી, આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, એનસીપી વડા શરદ પવાર, સહિત ઘણાં દિગ્ગજ નેતાઓ સંયુક્ત વિપક્ષની બેઠકમાં હાજર રહ્યા હતા.
Advertisement