દિલ્હી: કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપા લોકોની વચ્ચે જઈ રહી છે અને તેમની વચ્ચે સરકારની સિદ્ધિઓ ગણાવી રહી છે. બીજી તરફ કોંગ્રેસે અદાણી કેસની તપાસ, ખેડૂતોની આવક બમણી કરવી, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને પ્રશ્નો પૂછતી ‘9 વર્ષ, 9 પ્રશ્ન’ પુસ્તિકા બહાર પાડી છે. વિદેશ નીતિના 9 વર્ષ પૂર્ણ થવા પર આજે પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રી એસ. જયશંકરે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
અમેરિકામાં રાહુલ ગાંધીના તાજેતરના નિવેદન પર વળતો પ્રહાર કરતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે તેમને (રાહુલ ગાંધી) આદત છે કે જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે દેશની ટીકા કરે છે, આપણી રાજનીતિ વિશે ટિપ્પણી કરે છે. દુનિયા જોઈ રહી છે કે આ દેશમાં ચૂંટણી થાય છે અને ચૂંટણીમાં ક્યારેક એક પક્ષ જીતે છે તો ક્યારેક બીજી પાર્ટી. દેશમાં લોકશાહી ન હોય તો આવો બદલાવ ન આવવો જોઈએ… આપણે જાણીએ છીએ કે 2024ની ચૂંટણીનું પરિણામ પણ એવું જ આવશે.
ભારત-રશિયા સંબંધો પર રશિયા-યુક્રેન યુદ્ધની અસર અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધની વિવિધ દેશો પર અલગ-અલગ અસર છે. હવે રશિયા અને ચીન અથવા અન્ય દેશ પર તેની શું અસર થશે તે તેઓ પોતે જ નક્કી કરશે. 1955 પછીથી વિશ્વમાં ઘણું બધું થયું છે. પરંતુ આપણા અને રશિયાના સંબંધો સ્થિર રહ્યા છે કારણ કે બંને દેશો સમજે છે કે બંને મોટા યુરેશિયન દેશો છે અને સમગ્ર યુરેશિયાની સ્થિરતા આપણા સંબંધો પર આધારિત છે.
આ ઉપરાંત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાક સમયથી વિદ્યાર્થીઓનો મામલો આવી રહ્યો છે, જે અંગે કેનેડિયનો કહે છે કે તેઓ જે કોલેજમાં હોવા જોઈએ તે કોલેજમાં તેઓ ભણ્યા નથી અને જ્યારે તેમણે વર્ક પરમિટ માટે અરજી કરી, તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. અમે આ મામલો શરૂઆતથી જ ઉઠાવ્યો છે અને અમારું કહેવું છે કે વિદ્યાર્થીઓ સારી નિષ્ઠાથી અભ્યાસ કર્યો, તેમને ગેરમાર્ગે દોરનારા લોકો હોય તો દોષી પક્ષો સામે કાર્યવાહી થવી જોઈએ. સારા ઈરાદા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીને સજા કરવી અયોગ્ય છે.
Advertisement