દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધિતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ વેરવિખેર અને હતાશ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત નવા વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પર પ્રહાર કરતા પીએમએ કહ્યું કે ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોમાં પણ ઈન્ડિયા નામ આવે છે. પીએમ મોદીના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો. ટ્વીટમાં તેમણે લખ્યું, “તમે જે ઈચ્છો તે વિચારી શકો છો મિસ્ટર મોદી. અમે ઈન્ડિયા છીએ અને અમે મણિપુરના ઉત્થાન માટે કામ કરીશું અને અહીંની મહિલાઓ અને બાળકોના આંસુ લૂછીશું. આ ઉપરાંત તેમણે એમ પણ લખ્યું કે મણિપુરમાં ભારતની વિચારધારાને પુનર્જીવિત કરવામાં આવશે.
આ નેતાઓએ પણ વળતો પ્રહાર કર્યો
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે અમે વડાપ્રધાનને સંસદમાં આવીને મણિપુર મુદ્દે બોલવા અનુરોધ કરીએ છીએ. પરંતુ તેઓ તેમની પાર્ટીની બેઠકમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની વાત કરે છે. તેઓ વિરોધ પક્ષો દ્વારા તેમનું નામ I.N.D.I.A. રખાયું તેનાથી પીએમ શા માટે ડરે છે ? તેઓ પટણા અને બેંગલુરુમાં અમારી સફળ બેઠકોથી ગભરાયેલા છે. પીએમ દિશાવિહીન થઈ ગયા છે, તેમને સમજાતું નથી કે શું કરવું અને કેવી રીતે કરવું. મણિપુરનો મુદ્દો રાજસ્થાન, છત્તીસગઢ કે પશ્ચિમ બંગાળ જેવો નથી. તે તો તેના કરતાં પણ વધુ ગંભીર છે. દેશના સમગ્ર પૂર્વોત્તર રાજ્યો માટે આ ચિંતાનો વિષય છે. મણિપુર બાદ હવે મેઘાલય, મિઝોરમમાં સ્થિતિ વણસી રહી છે. તે આંતરરાષ્ટ્રીય સુરક્ષાનો પણ મુદ્દો છે. તેમને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારની ચિંતા નથી.
અન્ય કોંગ્રેસ સાંસદ રાજીવ રંજને પણ પીએમ મોદી પર પ્રહારો કરતા કહ્યું કે વડાપ્રધાનની વિચારસરણી અને તેમનો ઈરાદો શું છે તે તેમણે પોતાના નિવેદન દ્વારા જણાવી દીધું છે. તેમને I.N.D.I.A., તેના જોડાણ, વિરોધપક્ષ અને તેના લોકોથી ડર છે. તેમને મણિપુરની નહીં પણ પોતાની સત્તાની ચિંતા છે. તેમણે મણિપુર વિશે બોલવું જોઈએ પરંતુ તેઓ I.N.D.I.A. પર બોલી રહ્યા છે.
Advertisement