દિલ્હી: મોદી સરનેમ કેસમાં મહત્વનો આદેશ પસાર કરતા સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના ન્યાયાધીશ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. તેથી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી દોષી ઠેરવવાના આદેશ પર સ્ટે મૂકવો જરૂરી છે. કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉજવણી કરી હતી. દરમિયાન રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ પણ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
Advertisement
Advertisement
સત્યની જીત થઈ – રાહુલ ગાંધી
‘મોદી’ સરનેમ ટિપ્પણી માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલીવાર મીડિયાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, “આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે સત્યની જીત થતી હોય છે. પરંતુ ગમે તે થાય, મારો રસ્તો સ્પષ્ટ છે. મારે શું કરવું છે, મારું કામ શું છે તે અંગે મારા મનમાં સ્પષ્ટતા છે. જે લોકોએ મને મદદ કરી અને જનતાએ આપેલા પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર.
જોઈએ કેટલા સમયમાં સભ્યપદ પુનઃસ્થાપિત થશે – મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે કહ્યું કે આ અમારા માટે ખુશીનો દિવસ છે કારણ કે આ લોકશાહી, બંધારણ અને સત્યની જીત છે. હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું, આ એક ઉદાહરણ છે કે ન્યાય મળી શકે છે. આ માત્ર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જ નહીં પરંતુ સમગ્ર દેશની જીત છે. તેઓ એવા વ્યક્તિ છે જે દેશમાં સત્ય, રાષ્ટ્રીય હિત, યુવાનોના અધિકારો અને દેશમાં મોંઘવારી માટે લડે છે. રાહુલ ગાંધીને 24 કલાકની અંદર ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. હવે જોઈએ છીએ કે કેટલા કલાકમાં તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત થાય છે.
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત મળ્યા બાદ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે અમને ખૂબ જ આનંદ થયો. સંસદમાં રાહુલ ગાંધીની ગેરહાજરી અનુભવાઈ હતી. ત્યારપછી મેં પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન દ્વારા સંસદમાં સ્પીકરને સુપ્રીમ કોર્ટના નિર્ણયની જાણકારી આપી અને કહ્યું કે તેમનું સભ્યપદ વહેલી તકે પુનઃસ્થાપિત કરવામાં આવે. આજે સત્યની જીત થઈ છે.
Advertisement