દિલ્હી: સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવવા અને બે વર્ષની સજા પર રોક લગાવી દીધી છે. સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને મોદી અટક માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. ત્યારબાદ તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું હતું. નીચલી કોર્ટના આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંથી પણ તેમને કોઈ રાહત મળી ન હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કોંગ્રેસના કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે.
Advertisement
Advertisement
ટૂંક સમયમાં સભ્યપદ પુનઃસ્થાપિત થવાની શક્યતા
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે રાહુલ ગાંધી માટે સંસદના દરવાજા ખુલી ગયા છે. જો રાહુલનું સંસદીય સભ્યપદ છીનવી લીધા પછી વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હોત, તો તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત થયું ન હોત. પરંતુ હજુ સુધી વાયનાડ બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. તેથી તેમનો રસ્તો સાફ થઈ ગયો છે અને કોંગ્રેસના નેતાઓ પણ લોકસભાના અધ્યક્ષ સાથે મુલાકાત કરવાની તૈયારી કરી રહ્યા છે.
રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણી પણ લડી શકે
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની સાથે જ રાહુલ ગાંધીની 2024ની ચૂંટણી લડવાની શક્યતાઓ પર છવાયેલા ખતરાનાં વાદળો પણ દૂર થઈ ગયા છે. તેઓ હવે 2024ની લોકસભા ચૂંટણી લડી શકે છે. સુપ્રીમ કોર્ટે રાહુલની સજા અને દોષી ઠેરવવા પર સ્ટે મૂક્યો ન હોત તો તેઓ 2024ની લોકસભાની ચૂંટણી લડી શક્યા ન હોત.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની ‘મોદી સરનેમ’ ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષી ઠેરવવા પર રોક લગાવી દીધી છે. કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપતા કહ્યું કે ટ્રાયલ કોર્ટના આદેશની અસર વ્યાપક છે. તેનાથી ન માત્ર રાહુલ ગાંધીનો જાહેર જીવનમાં ચાલુ રહેવાનો અધિકાર પ્રભાવિત થયો, પરંતુ તેમને ચૂંટી કાઢનારા મતદારોના અધિકાર પર પણ અસર પડી. ‘મોદી’ અટક ટિપ્પણીના કેસમાં, સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે ટ્રાયલ કોર્ટના જજ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી, અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી દોષી ઠેરવવાના આદેશ પર સ્ટે મૂકવાની જરૂર છે.
Advertisement