મણિપુરમાં છેલ્લાં બે મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજ્યના પ્રવાસે છે. પોતાના પ્રવાસના પહેલા દિવસે રાહુલ ગાંધી ઈમ્ફાલથી 63 કિમી દૂર ચુરાચંદપુર ખાતે રાહત શિબિરોમાં આશ્રય લઈ રહેલા લોકોને મળ્યા હતા. આ અગાઉ ઘણો હોબાળો થયો હતો. તેમના પ્રવાસના બીજા દિવસે, રાહુલ ગાંધી હેલિકોપ્ટર દ્વારા વિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ જવા માટે રવાના થયા હતા. ત્યાં તેઓ હિંસાથી પ્રભાવિત થયેલા મૈતેઈ સમુદાયના લોકોને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી.
Advertisement
Advertisement
સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરશે
રાહુલ ગાંધી મૈતેઈ સમુદાયના લોકોને મળ્યા બાદ ઈમ્ફાલ પરત ફરશે. ત્યાં તેઓ સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધી હિંસા રોકવા અને લોકોને રાહત આપવા માટે સામાજિક કાર્યકરો સાથે વાત કરે તેવી શક્યતા હોવાનું કહેવાય છે. તે પછી રાહુલ ગાંધી મણિપુરમાં જ પ્રેસ કોન્ફરન્સ કરશે અને તેમાં તેઓ લોકોની સાથે થયેલી વાતચીતની માહિતી આપે તેવી શક્યતા છે.
રાહુલ ગાંધીને રોકવા પર થયો વિવાદ
રાહુલ ગાંધી 29 જૂન, ગુરુવારે મણિપુર પહોંચ્યા હતા, પરંતુ તેઓ એરપોર્ટ પર ઉતર્યા તેની થોડીવારમાં જ રાહુલના કાફલાને અટકાવી દેવામાં આવ્યો હતો. પોલીસે સુરક્ષાના કારણોસર રાહુલને મોટરમાર્ગે જવા દીધા ન હતા. ત્યારબાદ રાહુલ ગાંધી હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર પહોંચ્યા હતા અને રાહત શિબિરોમાં હાજર લોકોને મળ્યા હતા. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારે રાહુલ ગાંધીની મુલાકાતને નિષ્ફળ બનાવવા માટે આવું કર્યું હતું. જ્યારે ભાજપએ કહ્યું કે નેતાઓની મુલાકાત મણિપુરમાં મતભેદો વધારી શકે છે.
ગુરુવારે અથડામણમાં બે લોકોનું મોત
છેલ્લા કેટલાક દિવસોથી મણિપુરમાં પ્રવર્તતી શાંતિ ગુરુવારે ડહોળાઈ ગઈ હતી. કાંગપોકપી જિલ્લાના હરોથેલ ગામમાં સુરક્ષા કર્મચારીઓ સાથેની અથડામણમાં બે શંકાસ્પદ તોફાનીઓ માર્યા ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે બંને મૃતક તોફાનીઓ જે સમુદાયના હતા તેમણે તેમના મૃતદેહો સાથે ઈમ્ફાલમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનસુધી સરઘસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચતા અટકાવ્યા ત્યારે તેમાં જોડાયેલા લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા. તેથી પોલીસે ટોળાંને વિખેરવા માટે ટીયરગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો હતો.
Advertisement