દિલ્હીઃ લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બે દિવસની ઉગ્ર ચર્ચા બાદ પીએમ મોદી આજે સાંજે 4 વાગ્યે વિપક્ષને જવાબ આપશે. ગઈકાલે ગૃહમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના ભાષણ પછી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લગભગ બે કલાક અને ખાસ કરીને મણિપુર મુદ્દા પર વિગતવાર જવાબ આપ્યો હતો. હવે બધાની નજર તેના પર છે કે પીએમ મોદી લોકસભામાં મણિપુર મુદ્દે શું બોલશે ?
Advertisement
Advertisement
આ અવિશ્વાસ પ્રસ્તાવનું કેન્દ્ર મણિપુર રહ્યું છે અને વડાપ્રધાનના જવાબ માટે વિપક્ષ 16 દિવસથી સંસદને ખોરવી રહ્યું છે, ત્યારબાદ પીએમ મોદી હવે મણિપુરના મુદ્દે આજે લોકસભામાં જવાબ આપશે. બીજી તરફ કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. રાજ્યસભામાં ડીએમકે સાંસદ તિરુચી શિવા, આપ સાંસદ રાઘવ ચઢ્ઢા, આરજેડી સાંસદ મનોજ ઝા, આપ સાંસદ સંદીપ પાઠક, કોંગ્રેસ સાંસદ સૈયદ નસીર હુસૈન, આપ સાંસદ સુશીલ ગુપ્તાએ મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઑફ બિઝનેસની નોટિસ આપી છે.
નિવેદનબાજી ઉગ્ર બની
સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીના જવાબ પર સાંસદ મનોજ કુમાર ઝાએ કહ્યું કે અમે પીએમ મોદી સંસદમાં બોલે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. આ અવિશ્વાસ પ્રસ્તાવ સંખ્યા માટે લાવવામાં આવ્યો ન હતો. અમે જાણીએ છીએ કે સંખ્યાબળ તમારી (કેન્દ્ર) પાસે છે. અમારી સંખ્યા ઓછી છે. પરંતુ આ સાધનના માધ્યમથી અમે તમારી પાસેથી કશુંક સાંભળી શકીએ છીએ, મણિપુર કંઈક સાંભળી શકે છે. હું માત્ર એટલી જ આશા રાખું છું કે તેઓ આજે અતીતજીવી ન બને અને ગઈકાલે અમિત શાહના ભાષણની માફક નેહરુથી શરૂઆત ન કરે.
બીજી તરફ, આ મામલે કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે 20 જુલાઈથી વિપક્ષી I.N.D.I.A.ગઠબંધન માંગ કરી રહ્યું છે કે વડાપ્રધાન સંસદમાં આવે અને મણિપુર વિશે બોલે અને ત્યાંના લોકોને શાંતિ અને એકતાનો સંદેશ આપે. વડાપ્રધાનને સંસદમાં આવવામાં 14 દિવસ લાગી ગયા. અમે આશા રાખીએ છીએ કે તેઓ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપશે.
આ અંગે રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટીના સાંસદ એન.કે. પ્રેમચંદ્રને કહ્યું કે અમે વડા પ્રધાન પાસેથી વધુ અપેક્ષા રાખતા નથી કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રીના ગઈકાલના જવાબથી તે ખૂબ જ સ્પષ્ટ છે કે તેઓ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા ચોક્કસ પ્રશ્નોના જવાબ આપતા નથી. કેન્દ્ર સરકાર મણિપુર હિંસાનો સામનો કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે. ગઈકાલના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મૂળ મુદ્દાની અવગણના કરવામાં આવી છે, તેથી અમે વડા પ્રધાન પાસેથી યોગ્ય જવાબની અપેક્ષા રાખીએ છીએ.
Advertisement