આજનો દિવસ ભારતની સ્વાતંત્ર્ય લડતના ઈતિહાસનો એક મહત્ત્વનો દિવસ છે. આજે 9 ઓગસ્ટ ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ છે. ભારતીય જનતા પાર્ટી ભારત છોડો આંદોલનના 81 વર્ષ પૂર્ણ થવા પર એક મહાઅભિયાન શરૂ કરવા જઈ રહી છે. 21 દિવસના આ અભિયાનની શરૂઆત આજે સંસદમાં સ્થાપિત ગાંધીજીની પ્રતિમાથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટ, 1942ના રોજ મહાત્મા ગાંધીએ અંગ્રેજો વિરુદ્ધ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી. આજે તેને 81 વર્ષ પૂર્ણ થયા છે.
Advertisement
Advertisement
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ‘ભારત છોડો ચળવળ’ને યાદ કરીને કહ્યું હતું કે ભારત હવે ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણ સામે એક અવાજે બોલી રહ્યું છે. સત્તારૂઢ ભાજપ બુધવારે સમાન તર્જ પર દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે એવા સમયે પીએમ મોદીએ વિપક્ષ પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે.
પાર્ટીના સાંસદો સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તેમણે વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પણ અભિયાન ચલાવવું જોઈએ. ભાજપનું આ નવતર અભિયાનનું સમાપન 29 કે 30 ઓગસ્ટે કર્તવ્ય પથ પર થશે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર, વડાપ્રધાન 26 ઓગસ્ટે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દરમિયાન ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનની પણ શરૂઆત કરશે. પીએમએ સોશિયલ મીડિયા પર આ અભિયાનને પ્રમોટ કરવા સૂચના આપી છે.
તેમણે એક ટ્વિટમાં જણાવ્યું હતું, ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા મહાન લોકોને શ્રદ્ધાંજલિ. ગાંધીજીના નેતૃત્વમાં આ આંદોલને ભારતને સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પીએમ મોદીએ કહ્યું, આજે ભારત એક અવાજમાં કહી રહ્યું છે: ભ્રષ્ટાચાર ભારત છોડો. વંશવાદ ભારત છોડો. તુષ્ટિકરણ ભારત છોડો. મોદીએ વારંવાર વિરોધ પક્ષો પર ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે અને લોકોને તેમનાથી દૂર રહેવાનું આહ્વાન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું, આજે આપણી સામે વિકસિત ભારતના નિર્માણનું સ્વપ્ન અને સંકલ્પ છે. તેની સામે કેટલાંક દૂષણો અવરોધ બની રહ્યાં છે. તેથી જ ભારત આજે એક અવાજે કહી રહ્યું છે, ભ્રષ્ટાચાર ભારત છોડો. વંશવાદ ભારત છોડો. તુષ્ટિકરણ ભારત છોડો. ભારતમાં રહેલા આ દૂષણો દેશ માટે એક મોટો ખતરો છે, એક મોટો પડકાર છે. મને વિશ્વાસ છે કે આપણે બધા આપણા પ્રયત્નોથી આ દુષણોને ખતમ કરીશું, તેમને હરાવીશું અને પછી ભારતનો વિજય થશે, દેશનો વિજય થશે, દરેક દેશવાસીની જીત થશે.
Advertisement