દિલ્હી: ચોમાસુ સત્રમાં મણિપુર મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે મંગળવારે ભાજપની સંસદીય દળની બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષના મહાગઠબંધન પર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું, માત્ર ઈન્ડિયા નામ રાખવાથી કામ નહીં ચાલે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામમાં પણ ઈન્ડિયા છે અને ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ઈન્ડિયા છે.
Advertisement
Advertisement
વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વિપક્ષ વેરવિખેર થયેલો અને હતાશ લાગે છે. વિપક્ષના વલણ પરથી તો એવું લાગે છે કે તેઓ લાંબા સમયથી સત્તામાં આવવા માંગે છે અને પ્રયાસ કરી રહ્યા છે. ચોમાસુ સત્રમાં સંસદીય દળની આ પ્રથમ બેઠક હતી. આ બેઠક સંસદના લાયબ્રેરી બિલ્ડીંગમાં યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને તમામ કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા.
પીએમના નિવેદન બાદ ભાજપ નેતાઓની પ્રતિક્રિયા
પીએમ મોદીના આ નિવેદન બાદ ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે વિપક્ષે સ્વીકારી લીધું છે કે તેમને સત્તામાં આવવું નથી. પીએમએ એક ટિપ્પણી કરી છે કે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની રચના અંગ્રેજોએ કરી હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની રચના પણ અંગ્રેજોએ કરી હતી. આજકાલ લોકો ઈન્ડિયન મુજાહિદ્દીન પણ નામ રાખે છે, ઈન્ડિયન પીપલ્સ ફ્રન્ટ નામ પણ રાખે છે.
બીજી તરફ ભાજપના અન્ય એક સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે કહ્યું કે 1885માં જ્યારે કોંગ્રેસની રચના થઈ ત્યારે તે અંગ્રેજોએ કરી હતી. અમે પીપલ્સ ફ્રન્ટ પર પ્રતિબંધ મૂક્યો, તેઓ પણ પોતાને ઈન્ડિયા કહે છે. આજના સમયમાં, ઈન્ડિયાનું નામ ઉમેરવાની જે ફેશન છે તે શહેરી-નકસલવાદ સાથે જોડાયેલી છે. તેઓ પોતાને કાયદેસર બનાવવા માટે ઈન્ડિયાનું નામ ઉમેરે છે અને તે બધા અર્બન નક્સલવાદી છે.
ભાજપ સંસદીય દળની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે વિપક્ષના વર્તન પર ટિપ્પણી કરતા વડાપ્રધાને કહ્યું કે તેમનું વર્તન દર્શાવે છે કે તેમણે આવનારા ઘણાં વર્ષો સુધી વિપક્ષમાં રહેવાનો નિર્ણય કર્યો છે.
Advertisement