વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આંદામાન અને નિકોબારમાં પોર્ટ બ્લેર ખાતે વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, ‘2024 માટે 26 રાજકીય પક્ષો એકજૂથ થઈ રહ્યા છે. ભારતની દુર્દશા માટે કેટલાક લોકોએ પોતાની દુકાનો ખોલી છે, આ લોકો છેતરપિંડી કરનારાઓને માન આપી રહ્યા છે. જેલમાં જનારા લોકોને વિશેષ સન્માન આપવામાં આવે છે. હાલના દિવસોમાં આ લોકો બેંગલુરુમાં એકઠા થયા છે. આ લોકો જાતિવાદી અને ભ્રષ્ટ લોકો છે.
Advertisement
Advertisement
વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષની બેઠક પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો પરિવારવાદના કટ્ટર સમર્થક છે, આ કટ્ટર ભ્રષ્ટાચારી સંમેલન યોજાઈ રહ્યું છે. આ લોકો પરિવાર માટે ભ્રષ્ટાચાર વધારી રહ્યા છે. કેટલાંક લોકોએ પોતાની દુકાનો ખોલી નાંખી છે, તેમના માટે દેશ નહીં પરંતુ, ભાઈ-ભત્રીજાનો વિકાસ પ્રાથમિકતા છે. છેલ્લાં 9 વર્ષમાં અમે જૂની સરકારોની ભૂલો જ સુધારી નથી, પરંતુ લોકોને નવી સુવિધાઓ અને માર્ગો પણ આપ્યા છે. ભારતમાં વિકાસનું નવું મોડલ વિકસિત થયું છે. આ ‘સબકા સાથ, સબકા વિકાસ’નું મોડલ છે.
વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, કેટલાંક પક્ષોની સ્વાર્થી રાજનીતિને કારણે લાંબા સમયથી ભારતમાં વિકાસનો વ્યાપ દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચ્યો જ નથી, આ પાર્ટીઓ જેમાં તેમનું પોતાનું સારુ થાય, પોતાના પરિવારનું સારું થાય એવા કામોને પ્રાથમિકતા આપતી હતી. પરિણામ એ આવ્યું કે આદિવાસી વિસ્તારો અને ટાપુઓના લોકો વિકાસથી વંચિત રહ્યા, વિકાસ માટે તરસતા રહ્યા. અમારી અગાઉની સરકારના 9 વર્ષમાં આંદામાન અને નિકોબારને લગભગ 23,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જ્યારે અમારી સરકાર દરમિયાન 9 વર્ષમાં આંદામાન અને નિકોબારના વિકાસ માટે લગભગ 48 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે પોર્ટ બ્લેર ખાતે વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગથી મુસાફરીમાં સરળતા અને બિઝનેસ કરવામાં સરળતાની સાથે કનેક્ટિવિટી પણ મજબૂત થશે. અત્યાર સુધી વર્તમાન ટર્મિનલની ક્ષમતા દૈનિક 4,000 પ્રવાસીઓને સેવા આપવાની હતી, નવા ટર્મિનલના નિર્માણ બાદ આ એરપોર્ટની ક્ષમતા વધીને રોજના લગભગ 11,000 પ્રવાસીઓને સેવા આપવાની થઈ ગઈ છે. હવે એરપોર્ટ પર એક સાથે 10 એરક્રાફ્ટ ઊભા રહી શકશે. એટલે કે અહીં નવા વિમાનો માટેનો માર્ગ પણ ખુલી ગયો છે. 2024 માટે, દેશની જનતાએ અમારી સરકારને પરત લાવવાનું મન બનાવી લીધું છે. આવી સ્થિતિમાં ભારતની દુર્દશા માટે જવાબદાર કેટલાંક લોકો પોતાની દુકાનો ખોલીને બેસી ગયા છે.
Advertisement