પીએમ નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની મુલાકાતે છે. આ વર્ષના અંતમાં આ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પીએમ મોદીએ મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે જનસંઘના સહ-સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ પર ‘કાર્યકર મહાકુંભ’ને સંબોધન કર્યું. ત્યારબાદ રાજસ્થાનના ઢાંક્યા ગામમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય સ્મારક પહોંચ્યા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી. બાદમાં પીએમ મોદીએ જયપુરમાં પરિવર્તન સંકલ્પ યાત્રાના સમાપન પર એક મોટી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા પીએમ મોદીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “રાજસ્થાનના લોકોએ કોંગ્રેસના કુશાસનમાંથી આઝાદી મેળવવા માટે બ્યુગલ ફૂંકી દીધું છે. કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં જે પ્રકારે સરકાર ચલાવી છે તે ઝીરો નંબર મેળવવાને લાયક છે. ગેહલોત સરકારે રાજસ્થાનના લોકો અને યુવાનોના મહત્વપૂર્ણ પાંચ વર્ષ બરબાદ કરી દીધાં, તેથી રાજસ્થાનના લોકોએ ગેહલોત સરકારને હટાવીને ભાજપને પરત લાવવાનો નિર્ણય કર્યો છે.”
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અહીની કોંગ્રેસ સરકાર યુવાનોને તકો નહીં પરંતુ માત્ર દગો આપી શકે છે. રાજસ્થાનમાં જ્યારે પણ પેપર લીક થાય છે, ત્યારે તે સમગ્ર રાજ્યને શરમથી ભરી દે છે. અહીંની કોંગ્રેસ સરકાર પેપર લીક માફિયાઓને રક્ષણ આપે છે આજે હું રાજસ્થાનના યુવાનોને ખાતરી આપું છું કે રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ આ પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનાર કોઈપણ માફિયાને બક્ષવામાં આવશે નહીં.
રેલીને સંબોધતા પીએમ મોદીએકહ્યું, “જે કોંગ્રેસીઓ આજે મહિલા અનામતની વાત કરી રહ્યા છે, તેઓ આ કામ 30 વર્ષ પહેલા કરી શક્યા હોત. જ્યારે જ્યારે પણ તેમને તક મળી ત્યારે કરી શકતા હતા. પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસીઓ ક્યારેય એવું ઈચ્છતા ન હતા કે મહિલાઓને 33% અનામત મળે. આજે પણ તેઓ નારી શક્તિ વંદન કાયદાના સમર્થનમાં આવ્યા છે તે તેમના મનથી નથી આવ્યા. તેઓ મહિલાઓના દબાણના પરિણામે સમર્થનમાં આવ્યા છે.”
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “દાનત જ્યારે ચોખ્ખી હોય, જ્યારે પોતાના પર વિશ્વાસ હોય, ત્યારે ગેરન્ટી પૂરી કરવી એ સરકારની ઓળખ બની જાય છે. અમે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીની ગેરંટી આપી હતી અને આજે દેશના ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે, તે સૌ જુએ છે. પીએમ મોદીએ કહ્યું, “હું જે કહું તે કરીને બતાવું છું, તેથી જ મારી ગેરંટીમાં દમ હોય છે… અને હું આ માત્ર હવામાં કહી રહ્યો નથી, પરંતુ છેલ્લાં 9 વર્ષમાં મારો ટ્રેક રેકોર્ડ આ જ રહ્યો છે.”
પીએમ મોદીએ કહ્યું, “સંકેત સ્પષ્ટ છે કે રાજસ્થાનની મોસમ બદલાઈ ગઈ છે. હું આ સફળ યાત્રાઓ (પરિવર્તન યાત્રા) માટે રાજસ્થાનના દરેક ભાજપ કાર્યકર્તા અને જનતાને અભિનંદન આપું છું… આજે, ભારતની ક્ષમતાની સમગ્ર દુનિયામાં વાહવાહ થઈ રહી છે. આપણું ચંદ્રયાન જ્યાં કોઈ પહોંચી શક્યું નથી ત્યાં પહોંચી ગયું છે. G20માં ભારતની સફળતાથી ભારતના વિરોધી દેશો પણ આશ્ચર્યચકિત અને પરેશાન છે. ભારતે ગણેશ ચતુર્થીના દિવસે તેના નવા સંસદ ભવનથી કામકાજ શરૂ કર્યું છે અને નવી સંસદ બન્યા બાદ પ્રથમ કાર્ય ભાજપ સરકારે તેની બહેનો અને દીકરીઓને સમર્પિત કર્યું છે.”
Advertisement