દિલ્હીઃ સંસદની કાર્યવાહી આજથી નવા સંસદભવનમાં શરૂ કરવામાં આવી છે. અગાઉ વડાપ્રધાન મોદી સહિત તમામ સાંસદો જૂના સંસદભવનથી નવા સંસદભવન સુધી ચાલીને જતા જોવા મળ્યા હતા. આજની કાર્યવાહીની શરુઆત પહેલા પીએમ મોદીએ નવા સંસદભવનમાં તેમનું પ્રથમ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન દિવસે નવા ગૃહમાં નવી શરૂઆત સંદર્ભે મારા દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીઓને મારા તરફથી મિચ્છામી દુક્કડમ ! આ દિવસ ક્ષમા કરવાનો છે ત્યારે જૂની કડવી યાદોને ભૂલાવીને આગળ વધવાનું છે.
Advertisement
Advertisement
જૂની સંસદની ગરિમા ઓછી ન થવી જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે આપણે સૌ આજે નવા સંસદ ભવનમાં નવા ભવિષ્યના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ. આ ક્ષણ આપણને ભાવુક કરે એવી છે અને આપણી ફરજ માટે પ્રેરણા પણ આપે છે. 1947માં બ્રિટિશ સરકારે આ ભવનમાં જ સત્તા હસ્તાંતરિત કરી હતી. આ સેન્ટ્રલ હોલ તેનો સાક્ષી રહ્યો છે. આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે. પીએમ મોદીએ વિદાય સમયે કહ્યું કે- આ સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ. તે માટે હવે તે ‘સંવિધાન સદન’ નામથી ઓળખાશે.
નારી શક્તિ વંદન બિલ લાવવાની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સંસદના વિશેષ સત્રના બીજા દિવસે નવા સંસદ ભવનમાં પ્રથમ કાયદો લાવવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે સરકાર મહિલા સશક્તિકરણ માટે નારી શક્તિ વંદન બિલ લાવવા જઈ રહી છે. પીએમ મોદીએ આ માટે વિપક્ષી પાર્ટીઓ પાસેથી સહયોગ માંગ્યો હતો અને કહ્યું કે આજનો 19 સપ્ટેમ્બરનો દિવસ ઈતિહાસમાં અમર થઈ જશે.
વિધેયકની જાહેરાત અંગે વડાપ્રધાને શું કહ્યું?
દરેક દેશની વિકાસયાત્રામાં એવા સીમાચિહ્ન હોય છે, જ્યારે તે ગર્વથી કહે છે કે આજે આપણે સૌએ એક નવો ઈતિહાસ રચ્યો છે. જીવનમાં આવી થોડીક ક્ષણો આવે છે. નવા ગૃહના પ્રથમ સત્રના પ્રથમ પ્રવચનમાં હું આત્મવિશ્વાસ અને ગર્વ સાથે કહું છું કે આજની આ ક્ષણ અને આજનો દિવસ સંવત્સરી અને ગણેશ ચતુર્થીના આશીર્વાદ મેળવીને ઈતિહાસમાં નામ નોંધાવવાનો સમય છે. આ આપણા સૌ માટે ગર્વની ક્ષણ છે. ઘણાં વર્ષોથી મહિલા અનામત વિષે ઘણી ચર્ચાઓ થઈ છે. ઘણા વાદવિવાદ થયાં છે. મહિલા અનામત માટે સંસદમાં અગાઉ કેટલાક પ્રયાસો થયા છે. તેને લગતું બિલ 1996માં પહેલીવાર રજૂ કરવામાં આવ્યું હતું. અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ તેને પસાર કરાવવા માટે જરૂરી સંખ્યા એકત્ર કરી શક્યા નહોતા અને તેથી જ તે સપનું અધૂરું રહી ગયું હતું. પીએમ મોદીએ મહિલા આરક્ષણને બિલને ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપ્યું છે.
પીએમ મોદીએ કહ્યું, “કદાચ ભગવાને મને મહિલાઓને અધિકાર આપવા અને તેમને સત્તા આપવા જેવા પવિત્ર કાર્યો માટે પસંદ કર્યો છે. ફરી એકવાર અમારી સરકારે આ દિશામાં એક પગલું ભર્યું છે. ગઈકાલે જ કેબિનેટમાં મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. આજે 19મી સપ્ટેમ્બરની આ તારીખ તેના માટે જ ઈતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કરવા જઈ રહી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. સૂત્રો અનુસાર લોકસભામાં ચર્ચા બાદ આ બિલ આવતીકાલે એટલે કે 20 સપ્ટેમ્બરે પસાર થઈ શકે છે. આ બિલ 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
Advertisement