તમિળનાડુના મુખ્યમંત્રીના પુત્ર અને રાજ્ય સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે આપેલા નિવેદન પર હોબાળો થઈ રહ્યો છે. આ અંગે સતત નિવેદનબાજી થઈ રહી છે. હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સનાતન ધર્મનો નાશ કરવાની ઈચ્છા સાથે ઘણાં લોકો રાખ થઈ ગયા છે.
Advertisement
Advertisement
અનુરાગ ઠાકુરે કર્યા પ્રહાર
ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર પંજાબના ફગવાડામાં મીડિયા સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સનાતન ધર્મને ખતમ કરવાવાળા કેટલાંય લોકો રાખ થઈ ગયા, હિંદુઓને ખતમ કરનારા રાખ થઈ ગયા. અહંકારી ગઠબંધનના અહંકારી લોકો, સનાતન હતો, સનાતન છે અને સનાતન રહેશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે વિપક્ષી ગઠબંધનના નેતાઓ સતત સનાતન ધર્મ અને હિંદુઓ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો થાય છે, તો કોઈ વિપક્ષી નેતા હિંદુ ધર્મ પર શાબ્દિક પ્રહારો કરે છે, હિંદુ આતંકવાદની વાત કરે છે, પરંતુ દેશની જનતા તેનો જવાબ આપશે.
ભાજપાએ રાહુલ ગાંધીના મૌન પર સવાલ ઉઠાવ્યા
ભાજપે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સનાતન ધર્મ અંગે ઉદયનિધિ સ્ટાલિનની ટિપ્પણી પર આકરા પ્રહારો કર્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ઉદયનિધિ સ્ટાલિન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી અને નીતિશ કુમારે અત્યાર સુધી આ અંગે મૌન જાળવ્યું છે. રાહુલ ગાંધી માત્ર ચૂંટણી વખતે વોટબેંક માટે હિન્દુ હોય છે. વિપક્ષી ગઠબંધન હિંદુ વિરોધી છે, તે ભારતીય સંસ્કૃતિ અને સનાતનની વિરુદ્ધ છે.
ગોવાના સીએમની કડક કાર્યવાહીની માંગ
ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયેલા ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ઉદયનિધિ સ્ટાલિનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે (ઉદયનિધિ સ્ટાલિન) આવા નિવેદનો ન કરવા જોઈએ. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગેના તેમના નિવેદનને લઈને ચાલી રહેલા હોબાળા છતાં માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે તેઓ હજુ પણ તેમના નિવેદન પર અડગ છે અને કહ્યું કે તેઓ કહેતા રહેશે કે સનાતન ધર્મને નાબૂદ કરી દેવો જોઈએ.
તમને જણાવી દઈએ કે ઉદયનિધિ સ્ટાલિને તમિળનાડુમાં સનાતન એલિમિનેશન કોન્ફરન્સમાં બોલતા કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, તેને ખતમ જ કરી દેવી જોઈએ. આપણે ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોનાનો વિરોધ કરી શકતા નથી, આપણે તેમને ખતમ કરવા પડશે. સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે.
Advertisement