દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. યુનિફોર્મ સિવિલ કોડ અને ટ્રિપલ તલાક પર પીએમ નરેન્દ્ર મોદીના નિવેદન પર રોષે ભરાયેલા ઓવૈસીએ કહ્યું કે તેઓ દેશની વિવિધતાને સમસ્યા માને છે, તેથી તેમણે તેમની વિચારસરણીનું સોફ્ટવેર બદલવું જોઈએ.
Advertisement
Advertisement
UCC વિશે PM મોદીની ટિપ્પણી પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પલટવાર કરતાં કહ્યું કે વડા પ્રધાને એ સમજવાની જરૂર છે કે કલમ 29 એ મૂળભૂત અધિકાર છે, મને લાગે છે કે વડા પ્રધાન તે સમજી શક્યા નથી, બંધારણમાં ધર્મનિરપેક્ષતાની વાત છે. ઇસ્લામમાં લગ્ન એક કરાર છે, હિંદુઓમાં તે જન્મો જન્મનો સાથ છે. શું તમે તે બધાને ભેગું કરશો? તેઓ ભારતની વિવિધતાને એક સમસ્યા માને છે. વડાપ્રધાનને પાકિસ્તાન સાથે શા માટે આટલો બધો પ્રેમ છે ? તેમણે તેમની વિચારસરણીનું સોફ્ટવેર બદલવું જોઈએ. ભારતના મુસ્લિમોને પાકિસ્તાન, ઈજિપ્ત સાથે શું લેવાદેવા છે? શું તમે તેમને મોટા અને અમને ઓછાં આંકી રહ્યા છો ? આ તો દેશ વિરોધી વાત છે.
તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીએ ટ્રિપલ તલાક, યુસીસી અને પસમંદા મુસ્લિમો અંગે કેટલીક ટિપ્પણી કરી છે. લાગે છે કે મોદીજી ઓબામાની સલાહને બરાબર સમજી શક્યા નથી, મોદીજી મને કહો કે શું તમે “હિંદુ અવિભાજિત પરિવાર” (HUF)નો અંત લાવશો? જેના કારણે દેશને દર વર્ષે ₹3064 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
એક તરફ તમે પસમંદા મુસ્લિમો માટે મગરના આંસુ વહાવી રહ્યા છો, અને બીજી તરફ તમારા પ્યાદાઓ તેમની મસ્જિદો પર હુમલા કરી રહ્યા છે, તેમની નોકરી છીનવી રહ્યા છે, તેમના ઘરો પર બુલડોઝર ચલાવી રહ્યા છે, લિંચિંગ દ્વારા તેમની હત્યા કરી રહ્યા છે અને તેઓ તેમના આરક્ષણનો વિરોધ પણ કરી રહ્યા છે. તમારી સરકારે ગરીબ મુસ્લિમોની શિષ્યવૃત્તિ નાબૂદ કરી છે. જો પસમંદા મુસ્લિમોનું શોષણ થઈ રહ્યું હોય તો તમે શું કરી રહ્યા છો? પસમંદા મુસ્લિમોના મત માગતા પહેલા તમારા કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈને માફી માંગવી જોઈએ કે તમારા પ્રવક્તા અને ધારાસભ્યએ અમારા નબી-એ-કરીમના પ્રતિષ્ઠાનું અપમાન કર્યું છે.
પીએમ મોદી પર પ્રહાર કરતા ઓવૈસીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાનને ટાંકીને મોદીજીએ કહ્યું છે કે ત્યાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે. પાકિસ્તાનના કાયદાથી મોદીજીને આટલી પ્રેરણા કેમ મળી રહી છે? તમે અહીં ટ્રિપલ તલાક વિરૂદ્ધ કાયદો પણ બનાવ્યો, પરંતુ તેનાથી વાસ્તવિકતાના સ્તરે કોઈ ફરક પડ્યો નથી, ઉલટાનું મહિલાઓના શોષણમાં વધારો થયો છે. અમે હંમેશા માગણી કરતા આવ્યા છીએ કે કાયદા દ્વારા સામાજિક સુધારણા નહીં થાય. કાયદો બનાવવો જ હોય તો એવા પુરૂષો સામે બનાવવો જોઈએ જે લગ્ન પછી પણ પોતાની પત્નીઓને છોડીને ભાગી જાય છે.
Advertisement