દિલ્હી: અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન દરમિયાન વિપક્ષી સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો. તેના કારણે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત મતદાન પહેલા જ પરાસ્ત થઈ ગઈ હતી. વિપક્ષે વોકઆઉટ કર્યો તે કારણે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના જણાવ્યા અનુસાર, વિપક્ષે 1 કલાક 45 મિનિટ સુધી ઘણું અપમાન અને દુર્વ્યવહાર સાંભળ્યો છે. મને લાગે છે કે વિપક્ષે અન્ય ઘણાં લોકોની સરખામણીમાં વધુ ધીરજ દર્શાવી હશે.
Advertisement
Advertisement
બીજી તરફ આ મામલે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે અમને આશા હતી કે તેઓ (પીએમ મોદી) અર્થવ્યવસ્થા, મોંઘવારી, બેરોજગારી, મણિપુર, મણિપુરની મહિલાઓ પર ક્રૂરતાના મુદ્દે બોલશે, પરંતુ દોઢ કલાકમાં તેમનું 90% ભાષણ I.N.D.I.A.પર હતું.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈના જણાવ્યા અનુસાર, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે વડાપ્રધાન મોદીએ મણિપુરમાં ડબલ એન્જિન સરકારની નિષ્ફળતાની જવાબદારી લીધી નથી. મણિપુરના મુખ્યમંત્રીના કાર્યકાળમાં આટલી બધી મહિલાઓ પર દુષ્કર્મ થયું, રાજ્યનું વિભાજન થયું, 60,000 લોકો બેઘર બન્યા, સામાન્ય લોકોના હાથમાં એકે-47 છે. આટલું અસુરક્ષિત વાતાવરણ ઊભું કરવા છતાં તેઓ પોતાના મુખ્યમંત્રીને હટાવી રહ્યા નથી. તેઓ ક્યારે મણિપુર જશે તે પણ તેમણે જણાવ્યું ન હતું. આજે પણ તેમની પાસે કોઈ કાયમી ઉકેલ નથી, મણિપુરમાં શાંતિ ક્યારે પાછી આવશે તેનો તેમની પાસે કોઈ રોડમેપ નથી. વડાપ્રધાનના શબ્દોથી સમગ્ર મણિપુર રાજ્ય અસંતુષ્ટ અને દુઃખી છે. તેથી જ I.N.D.I.A.ગઠબંધન ગૃહની બહાર નીકળી ગયું.
એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે બીઆરએસ અને અમારી પાર્ટીએ પણ અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો જેને સ્પીકરે સ્વીકારી લીધો હતો. છેલ્લાં નવ વર્ષમાં આપેલા તમામ ભાષણોમાં વડાપ્રધાન મોદીનું આજનું ભાષણ કંટાળાજનક હતું. અમે વિચાર્યું કે તેઓ મણિપુરમાં હિંસા કરી રહેલા લોકોની નિંદા કરશે, અમને લાગ્યું કે તેઓ હરિયાણા સરકારના ડિમોલિશન અભિયાનની નિંદા કરશે. પણ ત્યાં કશું થતું નથી. એવું લાગ્યું કે ત્યાં મુગલ-એ-આઝમ ચાલી રહ્યું છે.
પીએમ મોદીના સંબોધન દરમિયાન વિપક્ષી સાંસદોના વોકઆઉટના મામલે સપાના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પાછળનું કારણ મણિપુર હતું જ્યાં ઘણી મહિલાઓ પર દુષ્કર્મ થયું હતું, બાળકોની હત્યા કરવામાં આવી હતી અને બીજી ઘણી ઘટનાઓ બની હતી. પરંતુ પીએમએ તેના વિશે વાત કરી ન હતી. મણિપુર વિશે કશું કહ્યું નહીં અને મણિપુરના લોકો સાથે ઊભા રહ્યા નહીં અને તેથી જ વિપક્ષે વોકઆઉટ કર્યો.
જેડીયુના સાંસદ રાજીવ રંજન સિંહે પણ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ કહી રહ્યા હતા તે તેમની હતાશા અને ગભરાટનું પ્રતિક હતું. તેઓ નવા ગઠબંધનને લઈને પોતાનો ગભરાટ વ્યક્ત કરી રહ્યા હતા. મણિપુર 3જી મેથી સળગી રહ્યું છે તેવા ભારતના મુખ્ય મુદ્દા પર તેઓ એક પણ શબ્દ ન બોલ્યા. અમે 1 કલાક 45 મિનિટ સુધી સાંભળતા રહ્યા પરંતુ તેઓ તેના વિશે એક પણ 0શબ્દ પણ ન બોલ્યા. તેઓ નવા ગઠબંધનની વાત કરતા રહ્યા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો છેલ્લો દિવસ હતો. વિપક્ષના આરોપોનો જવાબ આપતા પીએમ મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. પરંતુ તેમનું સંબોધન અધવચ્ચે જ છોડીને વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.
Advertisement