મહારાષ્ટ્રના રાજકારણમાં NCPમાં રાજકીય ખેંચતાણ બાદ, 13-14 જુલાઈના રોજ બેંગાલુરુમાં યોજાનારા વિપક્ષી સંમેલનને પણ મુલતવી રાખવામાં આવ્યું છે. જેડીયુ નેતા કેસી ત્યાગીએ આ બેઠક મુલતવી રાખવા અંગે પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે આ બેઠક હાલ પુરતી રદ કરી દેવામાં આવી છે. બેઠકની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. આ બેઠક ચોમાસુ સત્રના અંત પછી યોજાય તેવી શક્યતા છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આ બેઠક મુલતવી રાખવા અંગે ઘણાં સવાલો ઉઠી રહ્યા છે.
Advertisement
Advertisement
જો કે, એવું પણ મનાય છે કે બિહાર વિધાનસભા અને કર્ણાટક વિધાનસભાના ચોમાસુ સત્રને કારણે વિપક્ષની મહાબેઠક હાલ પુરતી ટાળી દેવામાં આવી છે. બિહાર વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 10 થી 24 જુલાઈ સુધી ચાલવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને બેઠક મુલતવી રાખવા વિનંતી કરી હતી, કારણ કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વિધાનસભા સત્રમાં વ્યસ્ત રહેશે.
23 જૂને પટણામાં મહાબેઠક યોજાઈ હતી
ગયા મહિને 23 જૂને પટણામાં 15 વિપક્ષી પાર્ટીઓની એકતા બેઠક યોજાઈ હતી. તેમાં મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એમકે સ્ટાલિન સહિત છ રાજ્યોના સીએમ અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી સહિત 5 રાજ્યોના પૂર્વ સીએમ સામેલ હતા. આ બેઠકમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. શરદ પવાર આ બેઠકમાં પ્રફુલ્લ પટેલને લઈને પહોંચ્યા હતા, પરંતુ હવે પ્રફુલ્લ પટેલ અજિત પવાર સાથે જતાં રહ્યા છે.
મહાબેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ અને આરએસએસ હિંદુસ્તાનના પાયા પર આક્રમણ કરી રહ્યા છે. આ વિચારધારાની લડાઈ છે અને અમે સાથે ઉભાં છીએ. અમે નિર્ણય લીધો છે કે અમે સાથે મળીને કામ કરીશું અને અમારી સમાન વિચારધારાનું રક્ષણ કરીશું. આ વિપક્ષી એકતાની પ્રક્રિયા છે જે આગળ વધશે.
Advertisement