દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયાના થોડા દિવસો બાદ ગઈકાલે એક ચોંકાવનારી જાહેરાત કરી હતી. મોદી સરકારે આ મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે, જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વારા તેની જાહેરાત કરી છે. મોદી સરકારના આ નિર્ણય બાદ વિપક્ષો રોષે ભરાયા છે અને ગણેશ ઉત્સવ દરમિયાન સત્ર બોલાવવા માટે પ્રહારો કર્યા છે.
Advertisement
Advertisement
સંસદના વિશેષ સત્ર પર શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અરવિંદ સાવંતે કહ્યું કે સંસદના ઈતિહાસમાં ક્યારેય તહેવારના સમયગાળા દરમિયાન કોઈ સત્ર યોજાયું નથી. હવે તેમણે ગણપતિ ઉત્સવ મનાવવાના દિવસોમાં સંસદનું સત્ર રાખ્યું છે. આ જ તેમનું હિન્દુત્વ છે.
આ મામલે કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર એસ. હુડ્ડાએ કહ્યું કે પહેલા સભ્યોને લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા માહિતી મળતી હતી. હવે પ્રહલાદ જોશીના ટ્વીટથી જાણવા મળે છે. હવે જ્યારે ચોમાસુ સત્ર પૂરું થઈ ગયું છે ત્યારે સપ્ટેમ્બરમાં આ સત્ર યોજવાનું કારણ કે તાકીદ શું છે ? આ તાકીદના સત્રનું કારણ શું છે તે સરકારે જણાવવું જોઈએ.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ કેન્દ્રના આ નિર્ણય પર નિશાન સાધ્યું અને કહ્યું કે જે રીતે પ્રહલાદ જોશીએ આ નિર્ણય છાનામાના લીધો છે અને ટ્વીટ કર્યું છે – મારો પ્રશ્ન એ છે કે દેશનો એક ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર ગણેશ ચતુર્થી ( તે સમયે જ ઉજવવામાં આવશે)…તો અમે જાણવા માંગીએ છીએ કે આ હિંદુ વિરોધી કામ કેમ થઈ રહ્યું છે ? આ નિર્ણય કયા આધારે લેવામાં આવ્યો છે ?…શું આ જ તેમની ‘હિંદુત્વવાદી’ માનસિકતા છે ?
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમને સંસદના વિશેષ સત્રને લઈને કોઈ માહિતી મળી નથી, અમને ટ્વીટ દ્વારા સત્ર વિશે જાણ થઈ, અમને કોઈ પણ પ્રકારની સૂચના, પત્ર અથવા ફોન કોલ દ્વારા તેની જાણ કરવામાં આવી નથી. સંસદના વિશેષ સત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “તેમને લાવવા દો, લડાઈ ચાલુ રહેશે.”
કેન્દ્રની મોદી સરકારે આ મહિને સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ બાબતને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે કદાચ આ થોડી ગભરાટનું સૂચક છે. આ જ પ્રકારની ગભરાટ જ્યારે મેં સંસદ ભવનમાં ભાષણ આપ્યું ત્યારે થઈ, ગભરાટના કારણે તેમને અચાનક મારું સંસદ સભ્યપદ રદ કરવું પડ્યું. તેથી મને લાગે છે કે આ ગભરાટનો વિષય છે કારણ કે આ બાબતો વડા પ્રધાનની ખૂબ નજીક છે. જ્યારે પણ તમે અદાણીનો મુદ્દો ઉઠાવો છો ત્યારે વડાપ્રધાન ખૂબ જ અસ્વસ્થ થઈ જાય છે અને ગભરાઈ જાય છે.
Advertisement