મહારાષ્ટ્રમાં ઔરંગઝેબને લઈને હોબાળો યથાવત છે, કોલ્હાપુર સહિત ઘણાં સ્થળોએ તંગદિલીની સ્થિતિ સર્જાઈ ગઈ છે. તેના પગલે આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન આ વિવાદને લઈને રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતમાં વસતા મુસ્લિમો ઔરંગઝેબના વંશજ નથી, ઔરંગઝેબ અને તેમના વંશજો બહારથી આવ્યા હતા. ફડણવીસે કહ્યું કે આ દેશના મુસ્લિમોએ ઔરંગઝેબને ક્યારેય સ્વીકાર્યા નથી.
Advertisement
Advertisement
મહારાષ્ટ્રના નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આપણા રાજા માત્ર છત્રપતિ શિવાજી મહારાજ છે. આપણી પાસે બીજો રાજા હોઈ શકે નહીં, ભારતના મુસ્લિમો ઔરંગઝેબના વંશજ નથી. ઔરંગઝેબ અને તેમના વંશજો બહારથી આવ્યા હતા. રાષ્ટ્રીય વિચારો ધરાવતા આ દેશના મુસ્લિમે ક્યારેય ઔરંગઝેબનો સ્વીકાર કર્યો નથી. તેઓ માત્ર છત્રપતિ શિવાજી મહારાજને માન આપે છે.
ઉદ્ધવ ઠાકરેને સવાલ
દરમિયાન, દેવેન્દ્ર ફડણવીસે ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગઝેબની કબરની મુલાકાત લેવા બદલ વંચિત બહુજન અઘાડી (VBA)ના વડા પ્રકાશ આંબેડકર પર પણ આકરા પ્રહારો કર્યા અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે શું તેમણે તેની મંજૂરી આપી હતી ? આ વર્ષની શરૂઆતમાં ઠાકરે અને આંબેડકરની પાર્ટીઓ એક સાથે હતી.
ફડણવીસના આ નિવેદન પર હોબાળો
તાજેતરમાં, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં કેટલાંક યુવકોના વોટ્સએપ સ્ટેટસ પર ઔરંગઝેબનો ફોટો પોસ્ટ કરવાના મુદ્દે ભારે હોબાળો થયો હતો, તેના અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઔરંગઝેબની ઓલાદો જન્મી હતા. તેઓ ઔરંગઝેબનો ફોટો બતાવે છે, ફોટો રાખે છે અને સ્ટેટસમાં મૂકે છે. જેના કારણે સમાજમાં દુર્ભાવના અને તંગદિલી સર્જાઈ રહી છે. સવાલ એ છે કે અચાનક ઔરંગઝેબની આટલી બધી ઓલાદો ક્યાંથી જન્મી ? અમે શોધીશું કે તેનો અસલી માલિક કોણ છે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કાયદો હાથમાં લે નહીં. તેમના આ નિવેદન પર ઘણો હોબાળો થયો હતો અને હવે તેમણે તે સુધારીને નવું નિવેદન આપ્યું છે.
Advertisement