ભોપાલ: મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં બંને નેતાઓ પર ટ્વિટર પર મધ્યપ્રદેશ સરકારને 50 ટકા કમિશનવાળી સરકાર ગણાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈન્દોર પોલીસ કમિશનરે કહ્યું કે સ્થાનિક ભાજપ કાયદા સેલના સંયોજક નિમેશ પાઠક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકા ગાંધી અને કલમનાથ સહિત કેટલાંક લોકોએ નકલી પત્રો દ્વારા સરકારને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે મધ્યપ્રદેશના કોન્ટ્રાક્ટરોને 50 ટકા કમિશન આપવાનું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ FIR નોંધાયા બાદ રાજકારણ ગરમાયું છે.
Advertisement
Advertisement
કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ભોપાલના ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી શ્રુત કીર્તિ સોમવંશીએ કહ્યું કે ગઈકાલે આ એફઆઈઆર આઈપીસીની કલમ 469, 500 અને 501 હેઠળ નોંધવામાં આવી હતી. તેમાં પત્ર લખનાર જ્ઞાનેન્દ્ર અવસ્થી નામના વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી. આ વ્યક્તિ હયાત છે કે ઉભી કરેલી છે તેની ઓળખ થઈ નથી. તેમના સિવાય કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી, કમલનાથ, અરુણ યાદવ, જયરામ રમેશ અને શોભા ઓઝાના નામ પણ લેવામાં આવ્યા છે જેમના ટ્વિટર હેન્ડલ પરથી આ સમાચાર બહાર આવ્યા છે. આ તમામ કલમો જામીનપાત્ર છે પરંતુ તેમને (કોંગ્રેસના નેતા અને જ્ઞાનેન્દ્ર અવસ્થી) ને નોટિસ આપવામાં આવશે અને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. દરેક સ્તરે તપાસ કરાવવામાં આવશે. તેમને પૂછવામાં આવશે કે તેમણે શેર કરતા પહેલા તેની અધિકૃતતાની ચકાસણી કેમ કરી ન હતી.
ચૂંટણીના વર્ષમાં FIR નોંધાતા રાજકારણ ગરમાયું
મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, તે પહેલા કોંગ્રેસે શિવરાજ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે એફઆઈઆર નોંધાયા બાદ કોંગ્રેસના નેતાઓ ભડકી ઉઠ્યાં છે. આ મામલે રાશિદ અલ્વીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારના પુરાવા જોઈએ તો બે-ત્રણ મહિના રાહ જુએ, કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તેમને પુરાવા આપવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીથી ભાજપ ડરે છે, તેથી જ તેઓ આવા કામો કરે છે.
પ્રિયંકા ગાંધી અને પૂર્વ સીએમ કમલનાથ તથા અન્યો સામે નોંધાયેલી એફઆઈઆર અંગે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે તેઓ પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના તમામ નેતાઓ સામે સેંકડો એફઆઈઆર દાખલ કરી શકે છે. મધ્યપ્રદેશ સરકાર હોય કે ભાજપની કોઈપણ સરકાર, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવવો હવે કેન્દ્ર સરકાર અને ભાજપીઓની આદત બની ગઈ છે. પરંતુ અમે આ બધી બાબતોથી ડરનારા નથી. અમે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવીશું. મધ્યપ્રદેશ સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટ છે.
Advertisement