દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ માહિતી આપી હતી.
તેમણે તમામ પક્ષોને બંને ગૃહોમાં સકારાત્મક ચર્ચામાં યોગદાન આપવા વિનંતી કરી છે. સંસદનું આ ચોમાસુ સત્ર આગામી 11 ઓગસ્ટ સુધી ચાલશે.
Advertisement
Advertisement
ટ્વિટમાં જોશીએ કહ્યું, “આગામી 20મી જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે અને 11મી ઓગસ્ટ સુધી ચાલશે. તેમણે આગળ લખ્યું કે 23 દિવસના આ સત્રમાં કુલ 17 બેઠકો થશે. હું તમામ પક્ષોને અનુરોધ કરવા માગું છું કે ચોમાસુ સત્ર દરમિયાન વિધેયકોને લગતા મુદ્દા પર રચનાત્મક રીતે કામકાજ કરવામાં યોગદાન આપે. મોદી સરકાર આ સત્રમાં સમાન નાગરિક સંહિતા વિધેયક રજૂ કરે તેવી શક્યતા હોવાનું મનાય છે.
આ સિવાય કેન્દ્રની મોદી સરકાર નેશનલ ફાઈનાન્શિયલ ઈન્ફર્મેશન રજિસ્ટ્રી, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડને સંસદમાં ચર્ચા માટે મૂકી શકે છે.
UCC બિલ રજૂ કરાય તેવી શક્યતા
મોદી સરકાર મોનસૂન સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ પર બિલ રજૂ કરી શકે છે. યુસીસીને લઈને પીએમ મોદીના તાજેતરના નિવેદન બાદ તેના વિશે અટકળો તેજ થઈ ગઈ છે. 27 જૂને પીએમ મોદીએ ભોપાલમાં કહ્યું હતું કે જ્યારે ગૃહ બે કાયદાથી ન ચાલી શકે તો દેશ બેવડી વ્યવસ્થા સાથે કેવી રીતે ચાલશે? એવું માનવામાં આવે છે કે પીએમ મોદીનું આ નિવેદન UCCના પક્ષમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવું સંસદ ભવન આગામી ચોમાસુ સત્રના આયોજન કરવા માટે તૈયાર છે. સંસદમાં લગભગ તમામ રાજકીય પક્ષો માટેના કાર્યાલયોની ઓળખ કરી દેવામાં આવી છે અને મુખ્ય વિભાગોને નવા ભવનમાં શિફ્ટ થવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
Advertisement