નવી દિલ્હીઃ મણિપુરમાં છેલ્લાં ઘણાં મહિનાઓથી હિંસા ચાલી રહી છે. આ મામલે ચોમાસુ સત્રમાં ભારે હોબાળો થયો હતો. એટલું જ નહીં, વિપક્ષ આ મુદ્દાને લઈને મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે આજે પણ રાજ્યની સ્થિતિ એની એ જ છે. દરમિયાન ગઈ મોડી રાત્રે મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને પહોંચીને તેમની સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement
Advertisement
મણિપુરના સીએમ એન બિરેન સિંહે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે લદ્દાખમાં રહેતા રાહુલ ગાંધીને મણિપુરનો વિચાર કેવી રીતે આવી ગયો ? તમે લદ્દાખ જઈ રહ્યા છો તો લદ્દાખની વાત કરો. મણિપુરમાં આજે જે કંઈ થઈ રહ્યું છે તે કોંગ્રેસ દ્વારા કરાયું છે. માનવ જીવન પર રાજકારણ ન કરવું જોઈએ. કોંગ્રેસના શાસનમાં રાજસ્થાનમાં શું – શું થઈ રહ્યું છે? પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં શું થઈ રહ્યું છે ?
આ ઉપરાંત, અમિત શાહ સાથેની મુલાકાતના સવાલ પર તેમણે કહ્યું કે અમે દરેક સમયે તેમની સલાહ લઈએ છીએ. સંસદમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નિવેદનો સાંભળ્યા બાદ મણિપુરમાં શાંતિ છે. વિસ્થાપિત વ્યક્તિઓના પુનર્વસન અને વ્યવસ્થાપન માટે આ નિયમિત કાર્ય છે. અમે અહીં ગૃહમંત્રીની સલાહ લેવા આવ્યા છીએ.
હિંસામાં અત્યાર સુધી 160થી વધુ લોકોના મોત
મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી ‘આદિવાસી એકતા માર્ચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. દરમિયાન, કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી સ્થિતિ તંગ બની છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની લગભગ 53% વસ્તી મૈતેઈ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે 40% આદિવાસીઓ છે, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે અને તે મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.
Advertisement