દિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવા માટે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો હતો. વિપક્ષ દ્વારા સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે. વિપક્ષ સતત સંસદમાં ચર્ચા અને મણિપુર મુદ્દે વડાપ્રધાનના નિવેદનની માંગ કરી રહ્યો છે. જોકે, સરકાર પાસે બહુમતી હોવાથી અવિશ્વાસની દરખાસ્તથી સરકારને કોઈ મુશ્કેલી નહીં પડે.
Advertisement
Advertisement
PM મોદીને મણિપુર હિંસા પર બોલવાની ફરજ પડેઃ વિપક્ષ
26 જુલાઈના રોજ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ દાખલ કરી હતી. આ સિવાય તેલંગાણામાં સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિએ પણ કેન્દ્ર સરકાર સામે અલગથી અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટિસ જારી કરી હતી. સંસદમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવી અશક્ય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે પૂર્ણ બહુમતીમાં છે. અહીં વિપક્ષનું કહેવું છે કે તેના દ્વારા પીએમ મોદીને મણિપુર હિંસા મુદ્દે બોલવા માટે મજબૂર કરવા છે.
અમને ખબર છે કે સરકાર નહી પડે – અધીર રંજન
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમારી માંગ હતી કે વડાપ્રધાન પોતે આવીને બોલે, પણ ખબર નથી કે વડાપ્રધાન કેમ બોલતા નથી. અમને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ફરજ પડી હતી. આ અમારી મજબૂરી છે. અમે જાણીએ છીએ કે તેનાથી સરકાર પડશે નહીં, પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. દેશના વડાપ્રધાને દેશની સામે આવીને મણિપુર વિશે ચર્ચા કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગૃહમાં સરકારને ઘેરવાની નવી વ્યૂહરચના હેઠળ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. આંકડાઓની વાત કરીએ તો હાલમાં લોકસભામાં NDAના 335 સાંસદો છે. મોદી સરકાર સામે પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ 20 જુલાઈ 2018ના રોજ લાવવામાં આવ્યો હતો. તેમાં સરકારને 325 વોટ મળ્યા અને વિપક્ષને 126 વોટ મળ્યા હતા. વિપક્ષના આ અવિશ્વાસ પ્રસ્તાવના કારણે સરકારના વડા તરીકે પીએમ મોદીએ આનો જવાબ આપવો પડશે.
Advertisement